આઈપીએસ અને રેલવેમાં નોકરીના નામે યુવક સાથે રૂ.24.10 લાખની છેતરપિંડી
યુવકે 'સરકારી નોકરી મળશે કે નહી' તે માટે ભૂવા પાસે દાણા જોવડાવ્યા હતા
સાવરકુંડલાના શખ્સ મારફત મુંબઈ અને બિહારના શખ્સ સાથે પરિચય થયો હતો, ત્રણ વર્ષ સુધી વાયદાઓ આપી પૈસા ખંખેર્યાં
બનાવની વિગત એવી છે કે, શહેરની એસ.એસ. એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા અને ભરતનગર વિસ્તારમાં રહેતા નિકુંજભાઈ ચિથરભાઈ જાંબુચાએ ભરતનગર પોલીસ મથકમાં મુકેશ હકાભાઈ બાવાજી (રહે.સાવરકુંડલા), અનિલ ચુનીલાલ દોશી (રહે.ઘાટકોપર વેસ્ટ, મુંબઈ) અને શ્રીકાંત પાસવાન (રહે.પટના, બિહાર) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ-૨૦૧૯ના વર્ષમાં દિવાળી પહેલા તેઓ સાવરકુંડલા કાળભૈરવ દાદાના મંદિરે દર્શન કરવા ગયા હતા જ્યાં ઉક્ત મુકેશ બાવાજીની પાસે સરકારી નોકરી મળશે કે નહી તે માટે દાણ જોવડાવ્યા હતા ત્યારે ઉક્ત મુકેશે મુંબઈમાં રહેતા તેમના મિત્ર અનિલ દોશીનો પરિચય કરાવ્યો હતો અને આઈપીએસ ઓફિસર થવું હોય તો રૂ.૭૫ લાખ આપવા પડશે તેમ જણાવી ટોકન પેટેની રકમ મેળવી હતી. જો કે, બાદમાં સતત છ માસ સુધી તમારૂં કામ ચાલે છે તેમ કહી વાયદા આપ્યા બાદ તમારૂંં શરીર આઈપીએસ બનાવા લાયક નથી તેમ જણાવી તેમના કાકાના દિકરાને રેલવેમાં નોકરી આપાવવાનું વચન આપ્યું હતું. અને તેના થકી કહી શ્રીકાંત પાસવાનનો સંપર્ક કરાવી કોલકતા બોલાવ્યા હતા. જયાં મેડિકલ સર્ટી.ના ચાર્જ સહિત સમયાંતરે તેમની પાસેથી કુલ રૂ.૨૪.૧૦ લાખ મેળવી લીધાં હતા અને રેલવે વિભાગમાં હાજર થવાનો બનાવટી રેલવે એમ્પ્લોયમેન્ટ લેટર મોકલી વિશ્વાસઘાત કર્યો હતા. જો કે, ફરિયાદી અને તેના કાકાના દિકરીએ રૂ.૨૪.૧૦ લાખની અવારનવાર ઉઘરાણી કરવા છતાં રૂપિયા પરત નહી આપી ઉક્ત ત્રણેય શખ્સોએ છેતરપિંડી આચરી હતી. આ અંગે ભરતનગર પોલીસે ત્રણએય વિરૂદ્ધ વિવિધ કલમ તળે ફરિયાદ નોંધી છે.
પહેલા આઈપીએસનું સપનું બતાવ્યું અને બાદમાં કાકાના દિકરાને રેલવેમાં નોકરી આપવાની વાત કરી હતી