જામનગરમાં યુવક પર જૂની અદાવતના મનદુઃખમાં હુમલો : સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો
Jamnagar Crime : જામનગરમાં સુમરા ચાલી નજીક ક્રિષ્ના સોસાયટીમાં રહેતા યુવાન પર જૂની અદાવતનું મન દુઃખ રાખીને હિંચકારો હુમલો કરાયો છે, અને તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર શહેરના સુમરા ચાલી નજીક ક્રિષ્ના પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા વિવેક ભરતભાઈ નંદા નામના હાલારી ભાનુશાળી યુવાન પર ગઈ રાત્રે જૂની અદાવતનો ખાર રાખીને ઈરાદા પૂર્વક મંડળી રચી હિંચકારો હુમલો કરાયો છે. જે હુમલામાં ઘવાયેલો યુવાન બેશુદ્ધ થઈ ઢળી પડતાં બેભાન હાલતમાં જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો છે.
આ બનાવની પોલીસને જાણ થવાથી ગઈકાલે મોડી રાત્રે સિટી એ.ડિવિઝનની પોલીસ ટીમે બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલ દોડી જઈ તપાસ હાથ ધરી છે. ઉપરાંત ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.