પુલવામા હુમલામાં શહીદ થયેલા વીરજવાનોને શ્રદ્ધાંજલિ આપીને યંગસ્ટર્સ વેલેન્ટાઇન મનાવશે
અમુક લોકો શહીદોની યાદમાં વેલેન્ટાઇન ડે નહી મનાવે
સુરત,તા.13 જાન્યુઆરી,2020 ગુરુવાર
''રાત દિવસનો રસ્તો વાલમ નહી તો ખૂટશે કેમ? તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ..'' તા-14મી
ફેબુ્રઆરી એટલે પ્રેમ ઉત્સવ ઉર્ફે વેલેન્ટાઇન ડે. પશ્મિના આ પર્વને પૂર્વના લોકો
ખુબ લાડકોડથી મનાવે છે. ખાસ કરીને યંગસ્ટર્સમાં આ તહેવારને લઇને ભારે ક્રેઝ જોવા
મળે છે. પરંતુ ગત વર્ષે આજના દિવસે પુલવામા હુમલામાં ૪૪
જવાનો શહિદ થયા હતા તેઓને ભૂલ્યા વિના યંગસ્ટર્સ વેલેન્ટાઇન ડે મનાવશે.
એ સરહદો પર જાગે છે એટલે દેશવાસીઓ નચિંત બનીને રહી શકે છે.. પ્રેમ કરી શકે છે
અને પ્રેમનો એકરાર પણ કરી શકે છે. ગત તા-૧૪મી ફેબુ્રઆરીએ જ જ્યારે યંગસ્ટર્સ
વેલેન્ટાઇનની ઉજવણીમાં મસ્ત હતુ ત્યારે દેશના
જવાનો પર પુલવામા ખાતે એટેક થયો અને એકસાથે ૪૪-૪૪ જવાનો ધરતીમાતાની ગોદમાં
સમાઇ ગયા. આ ઘટનાથી વ્યથિત કેટલાય લોકોએ ઉજવણી પર બ્રેક મારી દીધી હતી. અને એક
વર્ષ પછી પણ આ વીર જવાનો સ્મૃતિપટ પરથી ભૂલાયા નથી. તેથી જ વેલેન્ટાઇન મનાવતા
કેટલાય યુવાઓ આ તમામ શહીદોને પહેલા શ્રદ્ધાંજલિ આપવાના છે બાદમાં પ્લાન પ્રમાણે
વેલેન્ટાઇન પણ ન્યાય આપવાના છે. અડાજણમાં રહેતા નિરવે કહ્યુ કે ગર્લફ્રેન્ડ સાથે આજના દિવસે ફરવા અને ડિનરનો કાર્યક્રમ સેટ છે પણ એ
પહેલા સવારે અમે સંગાથે કારગીલ ચોક જઇને ૪૪ પુલવામાના શહીદો અને અન્ય શહીદોને પણ
નમન કરીશું. વરાછાની કેતકીએ જણાવ્યુ કે અમે ગત વર્ષે અમે વેલેન્ટાઇનની ઉજવણી કરી ન
હતી. આ વર્ષે રેડ ડ્રેસ કોડમાં આખો દિવસ સાથે ફરીશું બહાર લંચ-ડિનર પણ કરીશું પણ
વહેલી સવારે મીગ ફાઇટર વિમાન પાસે શહીદોને યાદ કરવા પણ જઇશું. કેતકીના લાઇફ
પાર્ટનરે કહ્યુ કે સૈનિકો દરેક દેશવાસીઓ માટે પહેલા હોવા જોઇએ બાદમાં બધા પર્વ.
દેશના દરેક સૈનિક અને શહીદો માટે ગર્વ છે. આ સિવાય પણ સુરતમાં અસંખ્ય કપલ્સ આજના
દિવસે દેશ માટે બલિદાન આપનાર નરબંકાઓને યાદ કરીને પ્રેમદિવસની ઉજવણી કરવાના છે. તો
ઘણા લોકો આ વેસ્ટર્ન કલ્ચરનો વિરોધ કરીને તેને મનાવવા પણ રાજી નથી. પણ આ બધા વચ્ચે
છેલ્લા કેટલાક વર્ષોથી પશ્મિના તહેવારો પ્રત્યે જે ઘેલછા હતી તેમા પણ ધીરે ધીરે
ઉણપ ચોક્કસ જોવા મળી રહી છે.
૧૪મી ફેબુ્રઆરીને હવે શહીદ દિન કહી શકો
આજથી એક વર્ષ પહેલા વેલેન્ટાઇન ડેના થોડા દિવસો પહેલા સોશ્યલ મિડીયામાં એક
મેસેજ સતત ફ્લેશ થયા કરતો કે ૧૪મી ફેબુ્રઆરીએ ભગતસિંહ, રાજગુરૃ અને સુખદેવને ફાંસી અપાઇ હતી. વેલેન્ટાઇનની ઉજવણીમાં
આ શહીદોને ભૂલી ન જતા. કોઇ કહેતા આ દિવસે તેઓને ફાંસીની સજા સંભળાવાઇ હતી. જો કે આ
બંને વાત પાયાવિહોણી હતી. તેમછંતા દર વર્ષે આ મેસેજનો મારો ચાલતો અને ફોરવર્ડીયા
લોકો જોયા વિના બીજાને ફોરવર્ડ કરીને દેશભક્ત હોવાનો ડોળ પણ કરી લેતા. પણ હવેથી આ
દિવસને શહીદ દિવસ કહી શકાય છે. કારણ કે પુલવામાના જવાનો આજના દિવસે જ શહીદ થયા હતા પણ દુર્ભાગ્યપુણ આ ફેસબુકીયાઓ હવે
નિષ્ક્રીય થઇ ગયા. આ પ્રકારના મેસેજ નહિવત જોવા મળ્યા હતાં.