Jamnagar Accident : જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં અકસ્માતોની હારમાળા સર્જાઇ છે, અને ગઈકાલે ત્રણ વાહન અકસ્માતો થયા છે. જેમાં જામનગરમાં મહાકાળી સર્કલ પાસે બે સ્કૂટર વચ્ચેના અકસ્માતમાં એક સ્કૂટર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે, અને પગની આંગળીઓ કપાઈ ગઈ છે. બીજા અકસ્માતમાં રસ્તો ઓળંગી રહેલા એક આધેડ ઈજાગ્રસ્ત બન્યા છે, જ્યારે ત્રીજા અકસ્માતમાં બે વાહનોની ટક્કરમાં વાહનોને નુકસાની થઈ છે.
જામનગરમાં એરફોર્સ રોડ પર ખેતીવાડી શેરી નંબર-1 માં રહેતા અને કડિયા કામ કરતા સંજય નરશીભાઈ બાવરફાડ નામના 39 વર્ષના યુવાનને કડિયા કામે જતી વેળાએ મહાકાળી સર્કલ પાસે અકસ્માત નડ્યો હતો. પોતાના એક્ટિવા સ્કૂટર સાથે અન્ય એક ટુ-વ્હીલરના ચાલકે ટક્કર મારી દેતાં સંજયભાઈને ગંભીર ઇજા થઈ હતી, અને તેના જમણા પગની આંગળીઓ કપાઈ ગઈ છે. જેની જીજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્માતના બનાવ અંગે પોલીસે સંજયભાઈની ફરિયાદના આધારે જી.જે. 10 ડી.પી. 3434 નંબરના ટુ-વ્હીલર ચાલક સામે ગુનો નોંધ્યો છે, અને તે ફરાર થઈ ગયો હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે.
અકસ્માતનો બીજો બનાવ જામનગર રાજકોટ ધોરી માર્ગ પર કનસુમરા ગામના પાટીયા પાસે બન્યો હતો ત્યાંથી રસ્તો ઓળંગી રહેલા પરસોત્તમભાઈ નકુમ નામના 57 વર્ષના આધેડ કે જેઓને પુરપાટ ઝડપે આવી રહેલા જી.જે.10 સી.બી. 7155 ના ચાલક ભૌમિક વાઘેલાએ હડફેટમાં લઈ લેતાં ઇજાગ્રસ્ત બન્યા હતા, અને જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જે અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્તના પુત્ર રાજેશ પરબતભાઈ નકુમે બાઇક ચાલક ભૌમિક વાઘેલા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અકસ્માતનો ત્રીજો બનાવ જોડીયા વિસ્તારમાં બન્યો હતો. જ્યાં રહેતા અને ચા નાસ્તાની દુકાન ચલાવતા અલ્ફાજખાન જહાંગીર ખાન બ્લોચે પોતાની ચા નાસ્તાની દુકાન પાસે પોતાનું બાઈક પાર્ક કર્યું હતું, જ્યાં બેકાબુ સ્પીડથી આવેલા અનેક બાઇક ચાલક અકરમે પોતાનું વાહન ભયજનક રીતે ચલાવી અલ્ફાઝખાનના વાહનને ઠોકર મારી નુકસાની પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.


