Get The App

કાલાવડમાં રહેતા યુવાનનું રાજકોટ તરફ બાઇક પર જતી વેળાએ રહસ્યમય સંજોગોમાં અપમૃત્યુ : પોલીસ દ્વારા તપાસ

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
કાલાવડમાં રહેતા યુવાનનું રાજકોટ તરફ બાઇક પર જતી વેળાએ રહસ્યમય સંજોગોમાં અપમૃત્યુ : પોલીસ દ્વારા તપાસ 1 - image

Jamnagar Accident : જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં રહેતા અને તાળા ચાવીનું કામ કરતા એક શીખ યુવાનને રાજકોટ તરફ બાઇક ઉપર જતી વેળાએ કોઈ અકસ્માત નડ્યો હતો, અથવા તો અન્ય કોઈપણ રીતે તેનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નીપજ્યું હતું, અને માર્ગ પર બાઈક સાથે તેનો મૃતદેહ પડેલો મળી આવ્યો હતો. સમગ્ર મામલામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે કાલાવડ ટાઉનમાં રહેતો અને તાળાની ચાવી બનાવવાનું કામ કરતો કુલદીપસિંઘ કરણસિંઘ નામનો 26 વર્ષનો શીખ યુવાન કે જે ગત 9 તારીખે રાતે દસેક વાગ્યાના અરસામાં પોતાના ભાણેજ અર્જુનના ઘરે જવા માટે બાઈક પર નીકળ્યો હતો, અને રાજકોટ કાલાવડ હાઈવે રોડ પર રાજસ્થળી ગામના પાટીયા પાસે કોઈપણ સંજોગોમાં નીચે પડી ગયો હતો, અને તેનું મૃત્યુ નીપજ્યું હતું.

મૃતક યુવાન પોતાના ભાણેજના ઘેર પહોંચ્યો ન હોવાથી પરિવારજનો શોધતા હતા. દરમિયાન ગઈકાલે તેનો મૃતદેહ માર્ગ પરથી મળી આવ્યો હતો. જે બનાવ અંગે મૃતકના મોટાભાઈ ભુપેન્દ્રસિંઘ કરણસિંઘે પોલીસને જાણ કરતાં કાલાવડ ટાઉનના પી.એસ.આઇ જે.એસ.ગોવાણી તેમજ રાઈટર મયુર સિંહ સહિતની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને કુલદીપસિંઘના મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.

 તેનું કયા સંજોગોમાં મૃત્યુ નીપજ્યું છે, તેનું કારણ જાણવા માટે પી.એમ. રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.