મોતનો ખાડો: જામનગર-લાલપુર ધોરી માર્ગ પર બાઈક સ્લીપ થઈ ખાડામાં પડતાં યુવાનનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર ચેલા ગામના પાટીયા નજીક ગત રાત્રિના સુમારે એક કરૂણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સ્લીપ થઈને ખાડામાં પડતાં જામનગરના એક યુવાનને ગંભીર ઇજાઓ થતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગરમાં રહેતો 25 વર્ષીય નવાઝ સિદ્દીકભાઈ શમા નામનો યુવાન ગઈકાલે રાત્રે પોતાનું બાઇક લઈને જામનગર-લાલપુર ધોરીમાર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. ચેલા ગામના પાટીયા પાસે અચાનક એક ઊંડો ખાડો આવતાં, નવાઝે બાઇક પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તે બાઇક સાથે ખાડામાં ખાબક્યો હતો.
આ અકસ્માતમાં નવાઝને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તે બેભાન અવસ્થામાં હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ દુર્ઘટનાના સમાચાર મળતા જ મૃતક નવાઝના પરિવારજનો અને જામનગર મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જી.જી. હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ ઘટનાથી પરિવાર અને સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું અને માતમ છવાયો હતો.
આ અકસ્માતના બનાવ બાદ પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.








