Jamnagar : જામનગર તાલુકાના બેરાજા ગામમાં એક ખેડૂતે પોતાની વાડીના શેઢે કાંટાળા તારમાં વીજ પ્રવાહ ચાલુ કરી દીધો હતો, જે સ્થળે એક યુવાનને વીજ કરંટ લાગ્યો હતો, અને તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું છે. પોલીસે વાડી માલિક સામે બેદરકારી દાખાવવા બદલ ગુનો નોંધ્યો હતો અને તેમની ધરપકડ કરી લીધી છે.
શું હતી સમગ્ર ઘટના?
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના બેરાજા ગામમાં રહેતો ભુપત હરજીભાઈ ઠુંગા નામનો 32 વર્ષનો માલધારી યુવાન કે જે ગઈકાલે શુક્રવારે પોતાના ઘેટા બકરા ચરાવવા માટે ગામની ઉગમણી સીમ વિસ્તારમાં જગા ડેમની કેનાલની બાજુમાં ગૌચરની જમીન વિસ્તારમાં પહોંચ્યો હતો. જ્યાં બેરાજા ગામના જ ખેડૂત કનુભા ઉર્ફે ભીખુભા રામસંગ રાઠોડ નામના ખેડૂતે વાવેતર કર્યું હતું, અને કપાસના વાવેતરની ફરતે કાંટાળી તાર ફીટ કરી હતી, અને તેમાં વીજ પ્રવાહ ચાલુ કરી દીધો હતો. જે કાંટાળી વાડના કારણે માલધારી યુવાન ભુપતને વીજ કરંટ લાગ્યો હતો, અને તેનું સ્થળ પર જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતક ભુપતભાઈના ભાઈ રમેશભાઈ હરજીભાઈ ઠુંગાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પી.આઇ. એમ.એન. શેખે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. ઉપરાંત પોતાની વાડીના શેઢે ગેરકાયદે વીજ પ્રવાહ ચાલુ કરી દેનાર વાડી માલિક સામે પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


