ઘાટલોડિયા વર્ધમાનનગરમાં યુવતીએ બાલ્કનીમાંથી કુદીને આત્મહત્યા કરી
ઇન્ટિરીયર ડીઝાઇનર યુવતી લીવઇનમાં રહેતી હતી
પરિવારને પ્રેમસંબધ મંજૂર ન હોવાથી મૃતક યુવતી માનસિક દબાણમાં રહેતી હતીઃ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો
અમદાવાદ,બુધવાર
શહેરના ઘાટલોડિયામાં આવેલા વર્ધમાનનગરમાં રહેતી યુવતીએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઇન્ટિરીયર તરીકે અભ્યાસ કરતી યુવતી તેના પ્રેમી સાથે લીવ ઇનમાં રહેતી હતી. પરંતુ, બંનેને પરિવારજનોને સંબધ મંજૂર ન હોવાથી તે સતત માનસિક દબાણ રહેતી અને તેણે ગત રાત્રીએ જીવન ટુંકાવ્યું હતું. આ અંગે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ઘાટલોડિયા વર્ધમાનનગરમાં રહેતી શિવાલી કશ્યપ નામની યુવતીએ તેના ઘરના બાલ્કનીમાં કુદીને આત્મહત્યા કરી હતી. આ અંગે ઘાટલોડિયા પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક યુવતી મુળ આસામી રહેવાસી હતી અને અમદાવાદમાં તે ઇન્ટિરીયર ડીઝાઇનરનો અભ્યાસ કરતી હતી. તે છેલ્લાં બે વર્ષથી સૌરભ નામના યુવકના પ્રેમમાં હતી અને ચાર મહિનાથી લીવઇનમાં રહેતા હતા.પરંતુ, બંનેના પરિવારજનોને આ સંબધ મંજૂર નહોતો. ગત મોડી સાંજે બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. ત્યારબાદ તેણે મોડી રાત્રે આત્મહત્યા કરી હતી. આ અંગે પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.