Jamnagar Accident : જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના જાલીયા માણસર ગામ પાસે એક બાઈકની આડે કૂતરું ઉતરતાં બાઈક સ્લીપ થઈ જવાથી તેના ચાલક ખેડૂત યુવાનનું ગંભીર ઇજા થવાના કારણે કરણ મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના જાલીયા માણસર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા દિનેશભાઈ રણછોડભાઈ લીંબડીયા નામના 41 વર્ષના ખેડૂત યુવાન, કે જે ગઈકાલે પોતાનું બાઈક લઈને ધ્રોલ ખાતે કપાસની દવાની ખરીદી કરવા માટે ગયા હતા, અને દવાની ખરીદી કરીને તેઓ પોતાના ગામ જાલીયા માનસર પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન ગામની ગોળાઈમાં એકાએક કૂતરું આડું ઉતરતાં મોટરસાયકલને બ્રેક મારવાથી સ્લીપ થઈ ગયું હતું, અને ખેડૂત યુવાન રોડ નીચે પટકાઈ પડતાં તેને ગંભીર ઈજા થઈ હતી. જેને બેશુદ્ધ અવસ્થામાં સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ તબીબે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકની પત્ની આશાબેન દિનેશભાઈ લીંબડીયાએ પોલીસને જાણ કરતાં ધ્રોલના પોલીસ ઘટનાના સ્થળે અને સરકારી હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


