Jamnagar Suicide Case : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સત્તાપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા અમિત કરસનભાઈ નકુમ નામના 43 વર્ષના કારડીયા રાજપુત ખેડૂત યુવાને ગઈકાલે પોતાની વાડીમાં પાકમાં છાંટવાની ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ અજય કરસનભાઈ નકુમે પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે બનાવના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક યુવાન છેલ્લા ચાર વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા, અને તેની પોરબંદરની હોસ્પિટલમાં દવા પણ ચાલતી હતી. જેનાથી સારું નહીં થતાં પોતે કંટાળી ગયા હતા, અને આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.


