Get The App

સ્ટ્રોમ વોટર લાઈન કેટલા કિલોમીટરમાં છે એ પુછવુ પડશે, અમદાવાદ પૂર્વમાં સ્ટ્રોમ વોટર લાઈન નાંખવા ત્રણ કરોડથી વધુના કામ મંજુર

કોન્ટ્રાકટર ધુ્વી બિલ્ડકોન,ભગીરથ કોર્પોરેશન તથા જયરામ કોર્પોરેશનના ટેન્ડર મંજુર પણ કામગીરી ચોમાસા પછી શરુ થશે

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News
સ્ટ્રોમ વોટર લાઈન કેટલા કિલોમીટરમાં છે એ પુછવુ પડશે, અમદાવાદ પૂર્વમાં સ્ટ્રોમ વોટર લાઈન નાંખવા ત્રણ કરોડથી વધુના કામ મંજુર 1 - image


અમદાવાદ,શુક્રવાર,30 મે,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી સ્થિતિ જોવા મળી છે. ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. આમ છતાં પૂર્વ અમદાવાદના આઠ વોર્ડમાં  રુપિયા ત્રણ કરોડથી વધુના ખર્ચથી ડ્રેનેજ તેમજ  સ્ટ્રોમ વોટર લાઈન નાંખવા કોન્ટ્રાકટર ધુ્રવી બિલ્ડકોન,ભગીરથ કોર્પોરેશન તથા જયરામ કોર્પોરેશનને કામ આપવા  હવે પાણી સમિતિએ દરખાસ્ત મંજુર કરી છે.શહેરમાં કેટલા કિલોમીટર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈન નાંખેલી છે એ અંગે પુછતા કમિટી ચેરમેન દીલીપ બગરીયાએ કહયુ,પુછવુ પડશે. આ ચોમાસામા પૂર્વ અમદાવાદના અનેક વિસ્તાર જળબંબાકાર બની જશે તેનો સત્તાધીશોએ આડકતરો સ્વીકાર કર્યો છે.

પૂર્વ ઝોનના આઠ વોર્ડમાં નવા બનાવવાના થતા રોડ ઉપર તથા નવી ટી.પી.સ્કીમમાં ખોલવામા આવેલા રોડ ઉપર નવી ડ્રેનેજ તથા સ્ટ્રોમ વોટર લાઈન નાંખવા રુપિયા ૨.૫૮ કરોડનુ એન્યુઅલ રેટ ટેન્ડર પાણી સમિતિએ મંજુર કર્યુ છે. આ ઉપરાંત ડેપ્યુટી સીટી ઈજનેરના તાબા હેઠળ આવતા વોર્ડ વિસ્તારમાં નવી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવા તેમજ સ્ટ્રોમ વોટર લાઈન ઉપર પડેલા ભંગાણના સમારકામ માટે રુપિયા ૮૧.૨૫ લાખનુ એન્યુઅલ રેટ ટેન્ડર ભગીરથ કોર્પોરેશનનુ ટેન્ડર મંજુર કરાયુ છે.પૂર્વ ઝોનના વિવિધ વોર્ડમાં આ જ પ્રકારની કામગીરી કરવા રુપિયા ૭૯.૧૩ લાખનુ કોન્ટ્રાકટર જયરામ કોર્પોરેશનનુ વાર્ષિક ટેન્ડર મંજુર કરાયુ હતુ.ચોમાસા પહેલા આ કામગીરી માટે ટેન્ડર થઈ જવા જોઈએ અને કામગીરી પણ પુરી થઈ જવી જોઈએ. તેમ છતાં કયા કારણથી હવે રહી રહીને ટેન્ડર મંજુર કરાયા એનો જવાબ કમિટી ચેરમેન આપી શકયા નહતા.

ખારીકટ કેનાલમાં પાણી ઉલેચવા ત્રણ દિવસ પમ્પ મુકવા પડયા

૧૨૫૦ કરોડના ખર્ચથી પૂર્વ અમદાવાદના મોટાભાગના વોર્ડ વિસ્તારને આવરી લેતી ખારીકટ કેનાલનુ રિ-ડેવલપમેન્ટ ચાલી રહયુ છે. પહેલા ફેઝની કામગીરી પુરી કરી લેવાઈ હોવાના સત્તાધીશોના દાવા છતાં ગુરુવારે વહેલી સવારે પડેલા ભારે વરસાદના કારણે ખારીકટ કેનાલમાં વરસાદી પાણી ભરાઈ જતા તેને ઉલેચવા વરુણ પમ્પ મુકવા પડયા હતા.

વરસાદી પાણી નિકાલ માટે રુપિયા ૨.૫૮ કરોડ ખર્ચ કરાશે

સુએજ ટ્રીટમેન્ટ પ્રોજેકટ વિભાગ દ્વારા ચોમાસામા નિચાણવાળા વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે તેમજ ખારીકટ કેનાલને સમાંતર તૈયાર થનારા ૯૫ સમ્પમાં પમ્પ રુપિયા ૨.૫૮ કરોડના ખર્ચે વાર્ષિક ધોરણે કોન્ટ્રાકટર નીમા એન્ટરપ્રાઈસ પાસેથી ખરીદવા દરખાસ્ત મંજુર કરાઈ છે.

અમદાવાદમાં વરસાદી પાણી કયાં ભરાય છે એનો સર્વે કરવા આઈ.આઈ.ટી.ગાંધીનગર સર્વે કરશે

ગુરુવારે સવારે પડેલા વરસાદમાં શહેરમાં ૧૦૬ સ્થળે વરસાદી પાણી ભરાયા હતા. આ બાબતથી કોર્પોરેશન સુપેરે વાકેફ છે.આમ છતાં રુપિયા ૧૨ લાખના ખર્ચથી શહેરમાં વરસાદી પાણી કયાં-કયાં ભરાય છે એનો સર્વે આઈ.આઈ.ટી.ગાંધીનગર પાસે કરાવાશે.

ખારીકટ કેનાલમાં બ્રેકડાઉન રીપેરીંગ માટે ૫૦ લાખ ખર્ચાશે

ખારીકટ કેનાલ રિ-ડેવલપમેન્ટ ફેઝ-એક અંતર્ગત કેનાલ ઉપર આવેલા જુદા જુદા સ્ટ્રોમ વોટર ,ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં આવતી લાઈન  અથવા રાઈઝીંગ મેઈનમાં થતા બ્રેકડાઉનના રીપેરીંગ માટે કોન્ટ્રાકટર માહી કોર્પોરેશનને રુપિયા ૫૦.૮૮ લાખના ખર્ચથી કામગીરી અપાઈ છે.

૩૯ તળાવને ઈન્ટરલિંક કરવા ૩ કરોડથી વધુનો ખર્ચ કરાશે

પૂર્વઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં ૩૯ તળાવ આવેલા છે. આ તળાવમાં વરસાદી પાણી લાવવા નવી પાઈપ લાઈન નાંખી ઈન્ટરલિંક કરવા કોન્ટ્રાકટર દર્શિલ બિલ્ડર્સને રુપિયા ૩.૫૬ કરોડની રકમથી કામગીરી અપાઈ છે.

Tags :