યુવાનોની અસીમ ઊર્જાને યોગ અને કસરત સકારાત્મક કાર્યોમાં મદદરૂપ

યુનિ.માં આત્મહત્યા નિવારણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લાગણી તેમજ ઉત્સાહને નિયંત્રિત કરવાની તાલીમ-જાગૃતિ કેળવાય તો આત્મહત્યાની ઘટનાઓ નિવારી શકાય
જૂનાગઢ, : જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં આજે આત્મહત્યા નિવારણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપકુલપતિએ જણાવ્યું હતું કે, યુવાનોમાં અસીમ ઉર્જા હોય છે, આવા સમયે આક્રમકતા કે હતાશા પ્રગટ થાય તો યોગ-કસરત સકારાત્મક કાર્યોમાં ફેરવવામાં મદદ કરે છે.
નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા વિદ્યાર્થી જાગૃતિ પ્રોગ્રામ અંતર્ગત આત્મહત્યા નિવારણ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપકુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણે વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, શાંત અને પ્રસન્ન મન સાથે વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રીત કરી શકાય છે. વર્તમાન બદલાતા સમયમાં સંસ્કાર અને સભ્યતાને અનુસરી મનોરંજક અને સંલગ્ન વાતાવરણમાં હકારાત્મક બનવું જોઈએ. ઘોડાસરા કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, દિવસે-દિવસે યુવાવસ્થા એ તનાવ વધી રહ્યા છે. મૃત્યુંના કારણોમાં માનસિક સ્થિતિ ભાગ ભજવે છે. લાગણીઓ તેમજ ગુસ્સાને નિયંત્રિત કરવાની તાલીમ અને જાગૃતિ કેળવાય તો આપઘાતની ઘટનાઓ નિવારી શકાય તેમ છે. મેડિકલ કોલેજના મનોચિકિત્સા વિભાગના ડો. કાચાએ જણાવ્યું હતું કે, આપઘાતનું જોખમ ધરાવતા વ્યક્તિ સાથે કરવામાં આવતા ટુંકા સહાનુભુતિપૂર્વકના તેમજ કોઈ નિર્ણય થોપી બેસાડયા વિનાનો વાર્તાલાપ અને વ્યક્તિને આપવીતીની ચર્ચા તેમજ પ્રોત્સાહિત કરવાથી આપઘાતનું જોખમ ઘટાડી શકાય છે.








