હવે બધું અમેરિકા જ નક્કી કરશે, ભારતની વિદેશ નીતિ ગીરવે મૂકાઇ, પૂર્વ નાણામંત્રીના ચાબખાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (image - ians) |
Yashwant Sinha Ahmedabad Visit: અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવેલા પૂર્વ વિદેશ અને નાણાં મંત્રી યશવંત સિંહાએ અમેરિકા સાથેની ટ્રેડ ડીલ બાબતે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે, 'હવે તો એવું લાગે છે કે જાણે બધું જ અમેરિકા નક્કી કરી રહ્યું હોય. ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલની જાહેરાત પણ ડોનાલ્ડ ટ્રમ્પ કરે છે.' વધુમાં તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ભારતની વિદેશ નીતિ ગીરવે મુકાઈ ગઈ હોય તેવું અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી.
ભારતની સ્વાયત્તતા અને અમેરિકન દબાણ
પૂર્વ કેન્દ્રીય નાણાં અને વિદેશ મંત્રી યશવંત સિંહાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલમાં હજુ ઘણી બાબતો સ્પષ્ટ થવાની બાકી છે. આ ડીલ માર્ચમાં ફાઇનલ થવાની શક્યતા છે, તેથી અત્યારે તેની ઉજવણી કરવાનો કોઈ અર્થ નથી. વધુમાં તેમણે મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત પર વેનેઝુએલા પાસેથી તેલ ન ખરીદવા દબાણ કરવાનો કોઈ અધિકાર નથી. ભારત પોતાની ઈચ્છા મુજબ ગમે ત્યાંથી તેલ ખરીદી શકે છે. જો સરકાર આ બાબતે ટ્રમ્પના દબાણમાં આવશે, તો તે મોદી સરકાર ટ્રમ્પ વહીવટીતંત્ર સામે ઝુકી ગઈ હોવાનું મનાશે.
સંસદમાં વિપક્ષનો અવાજ દબાવવાનો આક્ષેપ
બજેટ અંગે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ વિશ્વાસપાત્ર નથી; હાલમાં બચત અને મૂડીરોકાણના દરમાં ઘટાડો નોંધાયો છે. જનરલ નરવણેના પુસ્તક અંગે ચર્ચા કરતા તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આ મુદ્દે કેમ બોલવા દેવામાં આવતા નથી? ભારત સિવાય અન્ય દેશોમાં આ પુસ્તક પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. અગાઉ સિક્યુરિટી કમિટીમાં આવા સંવેદનશીલ મુદ્દે ગંભીર ચર્ચાઓ થતી હતી, પરંતુ હવે તે જોવા મળતી નથી. નરવણેના પુસ્તકમાં અનેક ચોંકાવનારી વિગતો છે, જેનાથી નરેન્દ્ર મોદી સરકારની નીતિઓ ખુલ્લી પડી ગઈ છે.
સ્પીકરના પક્ષપાતી વલણ પર આકરા પ્રહાર
સંસદમાં સ્પીકર પક્ષપાતી હોવાનો આક્ષેપ કરતાં યશવંત સિંહાએ કટાક્ષમાં કહ્યું કે, 'જ્યારે સ્પીકરની નજર શાસક પક્ષ પર હોય ત્યારે તેમના ચહેરા પર હાસ્ય હોય છે અને વિપક્ષ તરફ જોતી વખતે ગુસ્સો જોવા મળે છે. આવું વલણ લોકશાહીમાં કેવી રીતે હોઈ શકે?' તેમણે વધુમાં સવાલ કર્યો કે, સ્પીકરને કોણે માહિતી આપી કે વડાપ્રધાન પર હુમલો થવાનો છે? અને જો આવી કોઈ ચોક્કસ માહિતી હતી, તો તે બાબતે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી?
આ પણ વાંચો: મહુવાના યુવક અને વૃદ્ધ સાથે રૂ. 49.79 લાખની છેતરપિંડી
રાજ્યની કથળતી કાયદો અને વ્યવસ્થા પર પ્રહાર
પોતાની રાજકીય સફર વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, તેઓ જયપ્રકાશ નારાયણના વિચારોથી પ્રભાવિત થઈને રાજનીતિમાં આવ્યા છે. સિંહાએ સ્પષ્ટપણે કહ્યું કે, અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીના સમયમાં જે ભાજપ હતું, તે હવે રહ્યું નથી. તે સમયે પક્ષમાં નિર્ભયતાથી રજૂઆત કરી શકાતી હતી, પરંતુ નરેન્દ્ર મોદીના વર્ચસ્વ બાદ સાચું બોલવાની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે. આ ઉપરાંત, તેમણે ગુજરાતમાં ગુમ થઈ રહેલા બાળકોના મુદ્દે ઊંડી ચિંતા વ્યક્ત કરી કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.








