વકફ એકટની ગેરકાયદે - રદબાતલ જાહેર કરવા હાઇકોર્ટમાં રિટ અરજી
અમદાવાદ,તા.13 સપ્ટેમ્બર 2022,મંગળવાર
વકફ એકટ-૧૯૯૫ની બંધારણીય કાયદેસરતાને પડકારતી મહત્વની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે, જેમાં વકફ એકટની જોગવાઇઓનો ગંભીર પ્રકારે દૂરપયોગ થઇ રહ્યો છે અને બંધારણીય જોગવાઇઓ અને મૂળભૂત અધિકારોનું હનન થઇ રહ્યું હોઇ આ કાયદાને ગેરકાયદે અને રદબાતલ જાહેર કરવા દાદ માંગવામાં આવી છે. આ કેસમાં મહત્વના કાયદાકીય મુદ્દા ઉપસ્થિત કરાયા હોઇે કેસની ગંભીરતાને ધ્યાનમાં લઇ હાઇકોર્ટે આ રિટ અરજી રૂલ(દાખલ) કરી હતી. જેની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
વકફ એકટની જોગવાઇઓનો ગંભીર પ્રકારે દૂરપયોગ થઇ રહ્યો છે, બંધારણ અને મૂળભૂત અધિકારોનું હનન ઃ અરજદાર
અરજદારપક્ષ તરફથી રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, અગાઉ વકફ એકટ-૧૯૯૪ હતો, જે નાબૂદ કરી ૧૯૯૫માં આ અંગેનો નવા વકફ એકટ અમલમાં આવ્યો હતો. જેનો મુખ્ય હેતુ ચેરિટેબલ હેતુ માટે અને પ્રોપર્ટીના વકફ ડોનેશન માટેનો છે. આ કાયદો મૂળભૂત રીતે મુસ્લિમ ધર્મના લોકોને ધ્યાનમાં રાખીને જ કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવ્યો હતો પરંતુ ૨૦૧૩માં આ કાયદામાં સુધારો(અમેન્ડમેન્ટ) કરવામાં આવ્યો હતો અને તેમાં મુસ્લિમ સિવાય અન્ય ધર્મના લોકોને પણ સમાવિષ્ટ કરી આવરી લેવાયા હતા. આ કાયદાની કલમ-૧૪માં એવી જોગવાઇ છે કે, વકફ બોર્ડમાં ફકત મુસ્લિમ ધર્મના લોકો જ રહી શકે પરંતુ તે વાત હવે ગેરકાયદે ઠરે છે. કારણ કે, જો સત્તાધીશો કાયદામાં સુધારો કરી મુસ્લિમ સિવાયના ધર્મના લોકોને તેમાં આવરી લેતા હોય તો પછી બોર્ડ મેમ્બરમાં બીજા ધર્મના લોકોને પણ સમાવવા જોઇેએ. સત્તાધીશોએ મૂળ કાયદામાં સુધારો કર્યો તો, પછી તેની જોગવાઇઓમાં પણ જરૂરી સુધારો કરવો પડે.
અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, દેશના જુદા જુદા રાજયોમાં સૌેથી વધુ મિલ્કત આર્મી પાસે, બીજા નંબરે રેલ્વે અને ત્રીજા નંબરે વકફ બોર્ડ પાસે હોવાની માહિતી સામ આવી છે પરંતુ વકફ એકટ અને તેની જોગવાઇઓનો ગંભીર પ્રકારે દૂરપયોગ થઇ રહ્યો છે અને તેના કારણે આ કાયદાનો જે ઉમદા હેતુ હતો તે પરિપૂર્ણ થતો નથી. વકફ એકટની કલમ-૪૦ હેઠળ વકફ બોર્ડને જે સત્તાઓ અપાયેલી છે, તે પણ ગેરકાયદે અને અયોગ્ય છે. આ સંજોગોમાં પ્રવર્તમાન વકફ એકટ અને તેની જોગવાઇઓ ભારતીય બંધારણની વિરૂધ્ધ અને કુદરતી ન્યાયના સિધ્ધાંતની વિરૂધ્ધના હોઇ હાઇકોર્ટે તેને ગેરકાયદે અને રદબાતલ જાહેર કરવા જોઇએ.