જામનગરમાં નવાનગર નેચર ક્લબ અને વન વિભાગ દ્વારા 'વિશ્વ ચકલી દિવસ'ની ભવ્ય ઉજવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગરની અગ્રણી પર્યાવરણ સંસ્થા 'નવાનગર નેચર ક્લબ' તથા 'જામનગર વન વિભાગ' ના સંયુક્ત ઉપક્રમે આગામી 'વિશ્વ ચકલી દિવસ' નિમિત્તે પક્ષી સંરક્ષણ અને જનજાગૃતિના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તા.20 થી 22 માર્ચ દરમિયાન શહેરના ટાઉન હોલ ખાતે કલા અને પર્યાવરણનો અનોખો સંગમ જોવા મળશે.
કલાકારો માટે લાઈવ આર્ટ વર્કશોપ
તા.20 માર્ચના રોજ ટાઉન હોલ ખાતે શહેરના આર્ટિસ્ટો માટે એક વિશેષ 'લાઈવ પેઈન્ટિંગ વર્કશોપ' યોજાશે. જેમાં કલાકારો ચકલી અને પ્રકૃતિના વિષય પર જીવંત ચિત્રો તૈયાર કરશે. આ તૈયાર થયેલા ચિત્રોનું તા.21 અને 22 માર્ચના રોજ જાહેર જનતા માટે પ્રદર્શન તથા વેચાણ પણ રાખવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા શહેરના તમામ કલાકારોને આ સર્જનાત્મક કાર્યમાં જોડાવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાઓ અને પ્રદર્શન
નવી પેઢીમાં પક્ષીઓ પ્રત્યે સંવેદના જાગે તે માટે શહેરની તમામ પ્રાથમિક અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે 'ચિત્ર સ્પર્ધા' તથા 'ચકલીના માળા બનાવવાની સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું છે. તા.21 અને 22 માર્ચના રોજ 'ચકલી બચાવો' વિષય પર ભવ્ય ચિત્ર પ્રદર્શન યોજાશે, જેનો સમય સવારે 9:00 થી રાત્રે 8:00 વાગ્યા સુધી રહેશે. સ્પર્ધાના વિજેતાઓને તા.22 માર્ચના રોજ ઈનામ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા અથવા વર્કશોપમાં જોડાવા ઈચ્છતા કલાકારો અને સ્કૂલના આચાર્ય તથા વિદ્યાર્થીઓએ વધુ માહિતી માટે સંસ્થાના પ્રમુખશ્રીનો સંપર્ક કરવા જણાવાયું છે.








