Gujarat

છોટા ઉદેપુર: કવાંટમાં વિશ્વવિખ્યાત 'ગેરનો મેળો' જામ્યો, આદિવાસી સંસ્કૃતિ અને આસ્થાનો સંગમ

By GS TEAM
6 Mar 20262 mins read
TukuTouch Logo
હોળીના પર્વ બાદ છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસી પંથકમાં ઉત્સવનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. આદિવાસી સમાજની કળા, પરંપરા અને સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ સમાન ગેરનો મેળો કવાંટ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. આ મેળાને નિહાળવા માટે માત્ર સ્થાનિકો જ નહીં, પરંતુ દેશ-વિદેશથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: કવાંટમાં વિશ્વવિખ્યાત 'ગેરનો મેળો' જામ્યો, આદિવાસી સંસ્કૃતિ અને આસ્થાનો સંગમ

Chhota Udepur Kawant Ghe Mela: હોળીના પર્વ બાદ છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસી પંથકમાં ઉત્સવનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. આદિવાસી સમાજની કળા, પરંપરા અને સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ સમાન ગેરનો મેળો કવાંટ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. આ મેળાને નિહાળવા માટે માત્ર સ્થાનિકો જ નહીં, પરંતુ દેશ-વિદેશથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા.

5 દિવસની કઠોર તપસ્યા અને આસ્થા

ગેરના મેળા સાથે આદિવાસી સમાજની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. ખેતીમાં સમૃદ્ધિ, રોગમુક્તિ અને સુખાકારી માટે લેવાયેલી માનતાઓ આ પર્વે પૂર્ણ કરવામાં આવે છે. હોળી પ્રગટ્યા બાદ પાંચ દિવસ સુધી ગેરૈયાઓ પોતાના ઘરનો ત્યાગ કરી જંગલમાં રહી ઉપવાસ અને તપસ્યા કરે છે. લાલ પાઘડી અને લીલા વસ્ત્રોમાં સજ્જ ગરૈયાઓ હાથમાં લાકડી અને મોરપિચ્છ ધારણ કરી પરંપરાગત વાદ્યોના તાલે ગેર રમે છે.

રંગો વિના પણ રંગબેરંગી દેખાયો મેળો

કવાંટના મેળાની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં રંગો ઉડાડવામાં આવતા નથી, છતાં આખો મેળો રંગીન ભાસે છે. હજારોની સંખ્યામાં આદિવાસી યુવક-યુવતીઓ પોતપોતાના પરંપરાગત અને આભલા જડેલા રંગીન વસ્ત્રો પહેરીને આવે છે, જે સમગ્ર વાતાવરણને આદિવાસી કળાના રંગોથી ભરી દે છે.

આ પણ વાંચો: VIDEO | છોટાઉદેપુર: હોળી પર્વે 'ઘેરૈયા'ની પરંપરા, 5 દિવસના કઠિન વ્રત સાથે આદિવાસી સંસ્કૃતિની અનોખો વારસો

મેળામાં જામ્યો રાજકીય રંગ

આ વર્ષે વિશ્વવિખ્યાત ગેરનો મેળો રાજકીય ગરમાવો પણ સાક્ષી બન્યો હતો. વિવિધ પક્ષના નેતાઓ પોતાની લોકપ્રિયતા અને વર્ચસ્વ બતાવવા મેળામાં ઉતરી આવ્યા હતા. ભાજપના સાંસદ જસુ રાઠવાને તેમના સમર્થકોએ ખભે બેસાડી ઉત્સાહ વધાર્યો હતો. જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ પોતાના કાર્યકરો સાથે મેળાની મોજ માણતા જોવા મળ્યા હતા.

મેળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

હજારોની માનવમેદની વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કવાંટના બજારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આધુનિકતાના યુગમાં પણ આદિવાસી યુવાનો પોતાની આ પરંપરા અને સાંસ્કૃતિક વારસાને ટકાવી રાખવા કટિબદ્ધ દેખાઈ રહ્યા છે.