આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વચ્ચે વિશ્વામિત્રી નદીની દુર્દશા અને મગરોના મોત એક ગંભીર ચેતવણી સમાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા સહિત સમગ્ર વિશ્વમાં આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે. પર્યાવરણ સંરક્ષણ, જળસ્ત્રોતોના જતન અને જૈવ વૈવિધ્યના રક્ષણની વાતો વચ્ચે વડોદરાની વિશ્વામિત્રી નદીની હાલત અનેક સવાલો ઊભા કરી રહી છે. એક તરફ નદીમાં ગટરના પાણી, કેમિકલયુક્ત પ્રવાહી અને ગેરકાયદે વેસ્ટનો નિકાલ યથાવત છે, તો બીજી તરફ છેલ્લા ત્રણ વર્ષમાં 35 મગરોના મોત થતાં પર્યાવરણપ્રેમીઓમાં ચિંતા વ્યાપી છે.
વિશ્વામિત્રી નદી શહેરમાં પ્રવેશતાની સાથે જ પ્રદૂષણનો ભોગ બને છે. નદીમાં ગટરના સીધા પાણી ઠલવાતા અટકાવવા માટે વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. વિશ્વામિત્રી શુધ્ધિકરણ માટે વિવિધ યોજનાઓ અને જાહેરાતો પણ કરાઈ છે, છતાં આજે પણ અનેક સ્થળોએ ગટરનાં પાણી સીધા નદીમાં છોડવામાં આવી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા નદીમાં ગટરના પાણી ઠલવાતા બંધ કરાયા હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ હકીકત અલગ જ ચિત્ર રજૂ કરે છે.
વિશ્વામિત્રીમાં અનેક વખત કેમિકલયુક્ત પ્રવાહી છોડવામાં આવતાં પાણીનો રંગ બદલાઈ જવાના બનાવો પણ સામે આવ્યા છે. ઉપરાંત, નદીમાં ગેરકાયદે ઔદ્યોગિક અને અન્ય પ્રકારનો કચરો ઠાલવવાની ઘટનાઓ પણ બનતી જ રહે છે. આવા કિસ્સાઓમાં તંત્ર દ્વારા નોટિસ પાઠવવા કે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ કડક અને અસરકારક પગલાંના અભાવ નદીનું પ્રદૂષણ સતત વધી રહ્યું
બીજી તરફ, વિશ્વામિત્રી નદીના અંદાજે 25 કિલોમીટરના વિસ્તારમાં આશરે 420 જેટલા મગરો વસવાટ કરે છે. એશિયામાં સૌથી વધુ મગરોની વસ્તી ધરાવતી નદીઓમાં વિશ્વામિત્રી મોખરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મગરોની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ તેની સાથે મગરોના કુદરતી અને શંકાસ્પદ મોતના બનાવોમાં પણ વધારો થયો છે. છેલ્લા ચાર મહિનામાં 8 મગરોના મૃતદેહ મળી આવતાં વન્યજીવપ્રેમીઓ અને પર્યાવરણ સુરક્ષા સાથે સંકળાયેલા લોકોમાં ચિંતા વધી છે. અનેક મગરોના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
મગરોના મોતનું કારણ જાહેર નથી કરાતું
જીવદયા પ્રેમીઓ અને વન્યજીવ જોડાયેલા લોકોનું કહેવું મગરોના મોત બાદ વન વિભાગ દ્વારા પોસ્ટમોર્ટમ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, પરંતુ તેના સત્તાવાર રિપોર્ટ જાહેર કરવામાં આવતા નથી, જેના કારણે મગરીના મોત પાછળનું સાચું કારણ બહાર આવતું નથી અને તેથી મગરોના સંરક્ષણ માટે જરૂરી પગલાં ભરવામાં પણ મુશ્કેલી સર્જાઈ છે.
નદીમાં કોલિફોર્મ બેકટેરિયાનું વધુ પ્રમાણ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ખલીપુર નજીકથી છેલ્લા છ મહિના દરમિયાન લેવામાં આવેલા પાણીના સેમ્પલના પરીક્ષણમાં બીઓડી (બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ)-2, સીઓડી (કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ)-16, પીએચ (પોટેન્શિયલ ઓફ હાઈડ્રોજન)-7.5 અને ટોટલ કોલિફોર્મ બેકટેરિયાનું પ્રમાણ 458 નોંધાયું છે. કોલિફોર્મ બેકટેરિયાની હાજરી નદીમાં ગટરજન્ય પ્રદૂષણની હાજરી તરફ ઈશારો કરે છે. કોલિફોર્મ બેકટેરિયા સામાન્ય રીતે માનવ અને પ્રાણીના મળમૂત્રમાંથી પાણીમાં પ્રવેશે છે.








