વડોદરામાં આજવા સરોવરથી 180 એમએલડી પાણી વધુ મેળવવા પોન્ટૂન પંપ બેસાડવાની કામગીરી ચાલુ
Vadodara Corporation : વડોદરાના આજવા સરોવરમાં પાણીની સપાટી ઓછી થાય ત્યારે વર્ષો જૂની કુદરતી ઢાળ અનુરૂપ ગ્રેવીટીના ધોરણે પાણી લેવાની સિસ્ટમમાં સમસ્યા ઊભી થાય છે. ગ્રેવિટી વીક પડી જાય છે અને પાણી પ્રેશરથી પહોંચી શકતું નથી. જેથી ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં ખૂબ જ તકલીફ ઊભી થાય છે લોકો પાણી લો પ્રેશરથી મળતું હોવાની બૂમો પાડતા રહે છે. આવું ન થાય તે માટે હવે કોર્પોરેશન દ્વારા આજવામાં 150 એમએલડી કેપેસિટીના પોન્ટૂન પંપ બેસાડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે, અને ઓક્ટોબર નવેમ્બર સુધીમાં તે પૂર્ણ થઈ જાય તેવી શક્યતા છે.
હાલમાં પોન્ટૂન પંપ બેસાડવા માટે પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પોન્ટૂન પંપ ચાલુ થયા બાદ પાણી વધુ પ્રેશરથી મળશે. પૂર્વ વિસ્તારમાં લો પ્રેશરની સમસ્યા હલ થશે. હાલ કોર્પોરેશન દ્વારા આજવા સરોવરમાંથી પોન્ટૂન દ્વારા 30 એમએલડી પાણીનો જથ્થો મેળવે છે. બે વર્ષ પહેલાં ગ્રેવિટીની સાથે સાથે 30 એમએલડી કેપેસિટીના પોન્ટૂન બેસાડી પંપીંગથી વધારાનું પાણી લેવાનું ચાલુ કર્યું હતું. હાલની કામગીરી પાછળ 27 કરોડનો ખર્ચ થશે. પોન્ટૂન પંપીંગ દ્વારા 180 એમએલડી પાણીનો જથ્થો કોર્પોરેશન વધુ મેળવી શકશે.