Gujarat

પિઝામાં ફૂગ નીકળતા મહિલાઓનો હોબાળો

By GS TEAM
24 May 20261 min read
પિઝામાં ફૂગ નીકળતા મહિલાઓનો હોબાળો

શહેરમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવાત મળી આવવી અથવા વાસી ખોરાકનું વેચાણ થવાની ઘટનાઓ હવે સામાન્ય બની રહી છે. છાસવારે ગ્રાહકોને આ પ્રકારની સમસ્યાનો કડવો અનુભવ થતો હોય છે. ફરી એક વખત વાસી ખોરાક પીરસાતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે.

માંજલપુરમાં તુલસીધામ ચાર રસ્તા નજીક આવેલ પિજીનોઝ પિઝા આઉટલેટ ખાતે ગઈકાલે રાત્રે ત્રણ મહિલા મિત્રો પોતાના બે બાળકો સાથે અનલિમિટેડ કોમ્બોની ઓફરનો લાભ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને પીરસવામાં આવેલા સલાડમાંથી દુર્ગંધ આવતી હોવાનું ધ્યાનમાં આવતા તેમણે સ્ટાફને ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ સલાડ બદલી આપવામાં આવ્યું હતું.

ત્યારબાદ પીરસવામાં આવેલા પીઝામાં ફૂગ જોવા મળતા મહિલાઓએ રેસ્ટોરન્ટ મેનેજર અને સ્ટાફને રજૂઆત કરી હતી. મહિલાઓનું કહેવું છે કે પીઝામાં ફૂગ હોવાનું સમજાવ્યા છતાં સ્ટાફ માનવા તૈયાર નથી.

દિક્ષિતા વાઘેલાનું કહેવું છે કે આઉટલેટ સંચાલકોએ બિલ નહીં આપવાની વાત કરી હતી, પરંતુ મુદ્દો બિલનો નહીં ગ્રાહકોના સ્વાસ્થ્યનો છે. ખોરાક ખાધા બાદ કોઈ સ્વાસ્થ્ય સંબંધિત પરિસ્થિતિ સર્જાય તો તેની જવાબદારી લેખિતમાં સ્વીકારવા સંચાલકો તૈયાર નથી.

વધુમાં આજે બીજા દિવસે એમનું કહેવું છે કે, મારી ચાર વર્ષની બાળકી બિમાર થઈ હોઈ આજે ફરી રજૂઆત કરવા આઉટલેટ ખાતે પહોંચતા સંચાલકો હાજર નથી.