Get The App

6 દિવસથી પાણી વિતરણ કરાતા મહિલાઓના રોષભેર સૂત્રોચ્ચાર

Updated: Jun 6th, 2025

GS TEAM


Google News
Google News
6 દિવસથી પાણી વિતરણ કરાતા મહિલાઓના રોષભેર સૂત્રોચ્ચાર 1 - image


વઢવાણ  ૮૦ ફટ રોડ પર પાંચ સોસાયટીમાં

પાણીના ટેન્કર મોકલવાની મનપા કમિશનર ખાત્રી પર પાણી ફરી વળ્યું ઃ ગટરની સફાઈના અભાવે ગંદા પાણી ઘરમાં ઘુસ્યા

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં દિન-પ્રતિદિન પાણીની સમસ્યા વિકટ બની રહી છે છતાં મનપાના સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે વઢવાણ ૮૦ ફુટ રોડ પર આવેલ ત્રણ થી ચાર સોસાયટીમાં છેલ્લા પાંચ-છ દિવસથી પાણી વિતરણ ન થતાં સ્થાનીક મહિલાઓ અને રહિશોએ સુત્રોચ્ચાર કર્યા હતા અને તાત્કાલીક પાણી પુરૃ પાડવાની માંગ કરી હતી.

વઢવાણ ૮૦ ફટ રોડ પર આવેલ દેવ સોસાયટી, પ્રેરણા પાર્ક અને ડ્રીમલેન્ડ સહિતની ચારથી પાંચ સોસાયટીઓમાં અનેક પરિવારો વસવાટ કરી રહ્યાં છે પરંતુ આ સોસાયટીમાં છેલ્લા પાંચ છ દિવસથી મનપા તંત્ર દ્વારા પીવાનું પાણી વિતરણ કરવામાં આવ્યું નથી જ્યારે બીજી બાજુ ભુગર્ભ ગટરની સફાઈના અભાવે ગટરોનું ગંદુ પાણી પણ ઘરમાં ફરી વળે છે જે મામલે થોડા દિવસો પહેલા સ્થાનીક મહિલાઓ અને રહિશોએ મનપા કચેરી ખાતે રજુઆત કરી હતી અને તે સમયે મનપા કમીશ્નર દ્વારા વૈકલ્પિક ધોરણે પાણીની સમસ્યાના નિકાલ માટે ટેન્કર મોકલવાની ખાત્રી આપી હતી પરંતુ રજુઆતને પણ ચાર થી પાંચ દિવસ વિતિ ગયા હોવા છતાં મનપા તંત્ર દ્વારા પાણી વિતરણ કરવામાં આવ્યું નથી તેમજ પાણીના ટેન્કર પર મોકલવામાં આવ્યા નથી જેના કારણે સ્થાનીક મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો અને પોતાના વિસ્તારમાં સુત્રોચ્ચાર તેમજ વિરોધ પ્રદર્શન કરી મનપાના સત્તાધીશો સામે રોષ દાખવ્યો હતો. આ તકે સ્થાનીક મહિલાઓના જણાવ્યા મુજબ પાણીની સમસ્યાતો વિકટ બની છે પરંતુ ગટરના ગંદા પાણીના કારણે આ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફેલાવાની પણ દહેશત સેવાઈ રહી છે ત્યારે તાત્કાલીક મનપા તંત્ર દ્વારા પીવાનું પાણી તેમજ ભુગર્ભ ગટરની સમસ્યાનો ઉકેલ નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


Tags :