સુરેન્દ્રનગર મનપા કચેરીમાં પાણી માટે મહિલાઓએ હોબાળો મચાવ્યો
ધોળીધજા ડેમ ભરેલો છતાં અનિયમીત પાણી વિતરણ
ફિરદોષ સોસાયટી સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી નિયમીત પાણી નહીં મળતાં આક્રોશ
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગરમાં છેલ્લા એક મહિનાથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જતા મહિલાઓ ત્રાહીમામ પોકારી ઉઠી છે. ફિરદોષ સોસાયટી તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી નિયમીત પીવાનું પાણી ન મળતા મહિલાઓએ મનપા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી રોષ દાખવ્યો હતો.
સુરેન્દ્રનગરમાં છેલ્લા એક મહિનાથી પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ચુકી છે. હાલ લોકોને એકાંતરે મળતું પાણી ચારથી પાંચ દિવસે વિતરણ કરવામાં આવી રહ્યું છે. ધોળીઘજા ડેમ પાણીથી ભરેલો હોવા છતાં મનપા તંત્રની બેદરકારીના કારણે ભરઉનાળે રહિશોને પાણી વગર રહેવાનો વારો આવ્યો છે. તેમજ ન છુટકે બહારથી અથવા વેચાતું પાણી લેવું પડે છે. આ મામલે અનેક વખત રજુઆત બાદ પણ પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા શહેરના છેવાડાના વિસ્તાર એવા ફિરદોષ સોસાયટી તેમજ આસપાસના ચાર માળીયા મકાનોમાં રહેતા રહિશો અને મહિલાઓ મનપા કચેરી ખાતે ઘસી આવ્યા હતા અને પાણીની સમસ્યા મુદ્દે રોષ વ્યક્ત કરી મનપાના એન્જીનીયરને ઉગ્ર રજઆત કરી હતી. તેમજ આગામી દિવસોમાં નિયમીત પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.