વડોદરા,પાંચ કિલો વજનના સોનાના દાગીના સામે વ્યાજે આપેલા ૪૯ લાખની સામે આરોપીઓએ ૯૦ લાખ વસુલ કરી ૩કરોડની જમીનનો દસ્તાવેજ બિલ્ડરના નામે કરાવી લીધો હતો. જે અંગે મહિલાએ ફરિયાદ નોંધાવી છે.
આજવારોડ કલ્યાણનગર સોસાયટીમાં રહેતા પાર્વતીબેન પ્રભુભાઇ સોલંકીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - ૨૦૨૧ માં મારા પતિએ સમીર અરવિંદભાઇ પટેલ (રહે. શ્રી કુંજ સોસાયટી, ન્યુ વી.આઇ.પી.રોડ) પાસેથી ૪૯ લાખ ૩ ટકાના વ્યાજે લીધા હતા. તેની સામે સોનાના પાંચ કિલો વજનના દાગીના અમે આપ્યા હતા. ત્યારબાદ મારા પતિ છેતરપિંડીના કેસમાં જેલમાં જતા રહ્યા હતા. ત્યારબાદ મારી પરિસ્થિતિ સારી નહીં હોવાથી વ્યાજ ભરવાનું બંધ કરી દીધું હતું. આરોપીઓએ મારી પાસેથી એક દુકાનનું બાનાખત વ્યાજ પેટે કરાવી લીધું હતું. ત્યારબાદ ૪૯ લાખનું દેવું ચૂકવવા માટે તથા મારા પતિને જેલમાંથી છોડાવવા માટે રૃપિયાની જરૃર હોઇ મેં આરોપીઓના કહેવાથી બાપોદની જમીનનો સોદો ૩ કરોડમાં નક્કી કર્યો હતો. જે દસ્તાવેજમાં કન્ફર્મિંગ પાર્ટી તરીકે અરવિંદભાઇ પટેલ હતા.
૪૯ લાખની સામે ૯૦ લાખ વ્યાજ ચૂકવ્યું હોવાછતાં હજી વધુ વ્યાજની માગણી કરે છે. આરોપીઓએ સોનુ પણ પરત કર્યું નથી. પોલીસે સમીર અરવિંદભાઇ પટેલ તથા અરવિંદ શનાભાઇ પટેલ (રહે. ભાગ્યોદય સોસાયટી, ગોરવા) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બિલ્ડર ભૂપેન્દ્ર ઉર્ફે ટીનાના પુત્રના નામે આરોપીઓએ દસ્તાવેજ કરાવ્યો
વડોદરા,
ફરિયાદી પાર્વતીબેનનું કહેવું છે કે, આરોપીના કહેવાથી મેં બિલ્ડર ભૂપેન્દ્ર ઉર્ફે ટીના શાહના પુત્ર દર્ષિત શાહને વર્ષ - ૨૦૨૨ માં દસ્તાવેજ કરી આપ્યો હતો. તે દસ્તાવેજના ૨.૦૫ કરોડ હજી મને મળ્યા નથી. પોલીસે અમારી ફરિયાદ યોગ્ય રીતે દાખલ કરી નતી. તે અંગે અમે ઉચ્ચ અધિકારીને રજૂઆત કરીશું. અરજીની તપાસ કરનાર ઇકો સેલના પી.આઇ. કહે છે કે, ફરિયાદીએ માત્ર ગેરકાયદે વ્યાજ વસુલાતના જ પુરાવા આપ્યા હતા. બીજા કોઇ પુરાવા આપ્યા નથી.


