Get The App

પાલતુ શ્વાન અંગે ફરિયાદ કરાતાં મહિલાએ મહિલાને તમાચો ઝીંકી દીધો

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
પાલતુ શ્વાન અંગે ફરિયાદ કરાતાં મહિલાએ મહિલાને તમાચો ઝીંકી દીધો 1 - image

કોઠારીયાના સુરભી પોસિબલ એપાર્ટમેન્ટની ઘટના

એપાર્ટમેન્ટના રહિશો પાલતુ શ્વાનથી ત્રસ્ત, મહાનગરપાલિકામાં પણ ફરિયાદ કરી

રાજકોટ: કોઠારીયામાં રોલેક્ષ રોડ પર સુરભી પોસિબલ એપાર્ટમેન્ટમાં રહેતાં કિરણબેન વાઘેલા (ઉ.વ.૩૮) ઉપર તેના જ એપાર્ટમેન્ટમાં રહેતી પારૂલબેન રાજેશભાઈ ગોસ્વામીના પાલતુ શ્વાને હુમલાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે કિરણબેને ફરિયાદ કરતાં પારૂલબેને તેને તમાચા ઝીંકી દીધા હતા. 

ફરિયાદમાં કિરણબેને જણાવ્યું છે કે ગઈ તા.રપના રોજ સાંજે એપાર્ટમેન્ટની સામેથી વસ્તુ લઈ લીફટમાં ફલેટમાં જતા હતા ત્યારે પારૂલબેનનો પુત્ર પાલતુ શ્વાન લઈને આવ્યો હતો. જે શ્વાન તેને જોઈને તેની તરફ દોડતાં ચીસો નિકળી ગઈ હતી. એકબાજુ ખસી જતાં બચાવ થયો હતો. ત્યાર પછી પારૂલબેનને ફરિયાદ કરતાં ઝઘડો કરી, ગાળો ભાંડી કહ્યું કે આ મારો કુતરો એપાર્ટમેન્ટમાં જ રહેશે, ગમે ત્યાં રખડશે, આ બાબતે મને કહેશો તો જાનથી મારી નાખીશ. આ પછી તેને તમાચો ઝીંકી દીધો હતો. જાણ થતાં સોસાયટીના રહિશો અને પતિ સાથે મળી આજે આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 

ફરિયાદી પારૂલબેનના પતિ ગૌતમભાઈએ જણાવ્યું કે આરોપી મહિલા છેલ્લા ત્રણ વર્ષથી પાલતુ શ્વાન સાથે એપાર્ટમેન્ટમાં રહે છે. વાસ્તવમાં એપાર્ટમેન્ટમાં પાલતુ જનાવરો રાખવાની મનાઈ છે. જેને કારણે અનેક વખત તેને આ બાબતે ફરિયાદ કરતાં થોડા દિવસમાં પાલતુ શ્વાનને બીજે મુકી આવીશ તેવા ઠાલા આશ્વાસનો આપે છે. 

તેના પાલતુ શ્વાનથી  એપાર્ટમેન્ટના રહીશોમાં ખાસ કરીને બાળકો અને મહિલાઓ ત્રસ્ત બની ગઈ છે. આ અંગે મનપામાં પણ ફરિયાદ કરતાં તેના સ્ટાફે કાલે વીઝીટ કરવાનું આશ્વાસન આપ્યું છે. આ બાબતે ફરિયાદ કરે  તો પારૂલબેન સીધા લાજવાને બદલે ગાજી એમ કહે છે કે કુતરું કરડે તે દિવસે કહેજો.