Get The App

પતિના અનૈતિક સંબંધથી ત્રસ્ત મહિલાએ 3 વર્ષના બાળકની હત્યા કરી, પત્નીના આપઘાતમાં દુષ્પ્રેરણાની ફરીયાદ

Updated: Dec 2nd, 2021

GS TEAM

Google News
Google News
પતિના અનૈતિક સંબંધથી ત્રસ્ત મહિલાએ 3 વર્ષના બાળકની હત્યા કરી, પત્નીના આપઘાતમાં દુષ્પ્રેરણાની ફરીયાદ 1 - image

- સ્યુસાઇડ નોટના આધારે પોલીસની કાર્યવાહી, સગી ભાભી જોડે અફેર હતું, સાસુ જાણતા હોવા છતા કંઇ બોલતા ન હતા

- પુત્રને એક પણ વખત જોવા નહીં આવનાર પતિએ સ્કૂલ ફી ના 60 હજાર આપવા પણ ઇન્કાર કરી દેતા આપઘાતનું પગલું ભર્યુ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૂવાર

ઉગત વિસ્તારમાં માતા-પિતાના ઘરે રહેતી પરિણીતાએ પતિના સગી ભાભી સાથેના અનૈતિક સંબંધ અને સાસુના ત્રાસથી કંટાળી વ્હાલસોયા સાડા ત્રણ વર્ષના પુત્રનું ધ્રુજતા હાથે ગળું દબાવી હત્યા કર્યા બાદ ફાંસો ખાઇ આપઘાત કરી લેવાના પ્રકરણમાં રાંદેર પોલીસે પતિ, સાસુ અને જેઠાણી વિરૂધ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

શહેરના ઉગત-ભેંસાણ રોડ સ્થિત વીર સાવરકર હાઇટ્સના મીંઢોળા એપાર્ટમેન્ટમાં અરવિંદ પરમારને ત્યાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી રહેતી પુત્રી પ્રિયવંદના ઉર્ફે પીન્કી સતીષ કોસંબીયા (ઉ.વ. 31) એ વ્હાલસોયા સાડા ત્રણ વર્ષના પુત્ર રિષભ ઉર્ફે રીશુનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પોતે પણ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસને પીન્કીની ફાંસો ખાધેલી લાશ નજીકથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. સ્યુસાઇડ નોટમાં મારો રીશુ મારો દીકો, મેં ગળું દાબીને મારી નાંખ્યો, મારૂ ઢીંગલું, આઇ લવ યુ સો મચ રીશુ, એ જીવતે તો એની જીંદગી બરબાદ થઇ જતે, મારા હાથ બો જ ધ્રુજતા હતા, મારા ઢીંગલાને મારતા હું બો રડતી હતી, કાશ સતીષ તું સમજતે, તારી માં સમજતે, મને અને રીશનું તારી બો જરૂર હતી સહિતની પોતાની વેદના ઉપરાંત સગી ભાભી ભાવના સાથેના અફેર હોવાનું અને આ બાબતથી સાસુ લલીતાબેન વાકેફ હોવા છતા કંઇ બોલતા નહીં હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જયારે પીન્કીના પિતા અરવિંદ પરમારે આક્ષેપ કર્યો હતો કે લગ્નના ગણતરીના દિવસો બાદ શારિરીક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. પીન્કીના પુત્ર રીષભના સ્કૂલમાં એડમિશન માટે ફી ના 60 હજાર રૂપિયા આપવાનો પણ સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. જેથી કંટાળીને પીન્કીએ આપઘાત કરી લીધો હતો. જેથી પોલીસે પતિ સતીષ લલીત કોસંબીયા, સાસુ લલીતાબેન નગીન કોસંબીયા અને જેઠાણી ભાવના સુરેશ કોસંબીયા (તમામ રહે. ઓમકાર એપાર્ટમેન્ટ, સંત તુકારામ સોસાયટી-6, પાલનપુર જકાતનાક) વિરૂધ્ધ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.