ડોળાસા નજીકના માલગામ પાસે અકસ્માતમાં મહિલાનું મોત

કારે ટક્કર મારતા રિક્ષા પલ્ટી ખાઇ ગઇ
રિક્ષાચાલક સહિત ચાર ઇજાગ્રસ્ત
વેળવા ગામના જીણાભાઈ ભાણાભાઈ સોલંકી પોતાની ઓટો રિક્ષામાં ડોળાસા સુધીના મુસાફરોને લઇ આશરે બપોરના ત્રણ વાગ્યે માલગામ પાસે પહોંચ્યા હતા. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે આ રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી.
જેમાં અડવી ગામના સમજુબેન બચુભાઇ ડોડીયા (ઉ.વ.૬૫)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પાંચ પીપળવા ગામના નાથીબેન જગુભાઈ ડોડીયા (ઉ.વ.૫૨), માલગામના હાદાભાઈ રાજાભાઈ સોલંકી (ઉ.વ.૬૦) રિક્ષાચાલક જીણાભાઈ ભાણાભાઈ સોલંકી (ઉ.વ.૬૫)ને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતાં. આ અકસ્માતમાં મૃત્યુ પામનારા સમજુબેનનો યુવાન પુત્ર પણ રિક્ષામાં અવસાન પામ્યો હતો. પચીસ વર્ષ બાદ ફરી આ ઘટનાનું પુનરાવર્તન થયું છે. કોડીનાર પોલીસે તુરત ઘટનાસ્થળે પહોંચી અકસ્માત સર્જનાર સામે ધોરણસરની કાર્યવાહી કરી છે.









