જામનગર નજીક રસ્તો ઓળંગી રહેલી બે બુઝુર્ગ મહિલાને રીક્ષા ચાલકે ઠોકરે ચડાવ્યા બાદ સારવારમાં એક મહિલાનું મૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : જામનગરના મોરકંડા રોડ પર પગપાળા ચાલીને આવી રહેલા બે બુઝુર્ગ મહિલાને જી.જે.10 ટી ડબ્લ્યુ 6114 નંબરની સીએનજી રીક્ષાના ચાલકે ઠોકરે ચડાવતા બંને મહિલાઓને ઈજા થઈ હતી. જે પૈકીના 65 વર્ષના વૃદ્ધ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે. પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કિસાન ચોક પાસે હીરાસરવાસમાં રહેતા નાગલબેન માંડણભાઈ પરમાર (ઉંમર વર્ષ 65) કે જે મોરકંડાડા રોડ પર એક બ્રાસપાર્ટના કારખાનામાં કામ કરે છે, જે કારખાનેથી કામ પૂરું કરીને પોતાની સાથેના સહકર્મચારી મહિલા દક્ષાબેન મહેશભાઈ પરમારની સાથે ગત 22મી તારીખે પગપાળા ચાલીને ઘર તરફ આવી રહ્યા હતા.
જે દરમિયાન ત્યાં આવી રહેલી જી.જે.10 ટી.ડબ્લ્યુ. 6114 નંબરની સીએનજી રીક્ષાના ચાલકે બંનેને પાછળથી ઠોકર મારતા ઇજાગ્રસ્ત બન્યા હતા, અને બન્નેને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. દરમિયાન 26મી તારીખે સારવાર દરમિયાન નાગલબેનનું મૃત્યુ નીપજ્યું હતું.
જે બનાવની પોલીસને જાણ કરાતાં સિટી એ ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી ગયો હતો અને નાગલબેનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે નાગલબેનના પુત્ર ભીખુભાઈ પરમારની ફરિયાદના આધારે અકસ્માત સર્જનારા સીએનજી રીક્ષા નંબર જી.જે.10 ટી. ડબલ્યુ. 6114 નંબરના રીક્ષાના ચાલક સામે ગુનો નોંધ્યો છે અને તેની શોધખોળ હાથ ધરી છે.








