Gujarat

વડોદરાના ઇતિહાસના સાક્ષી માંડવીએ DJ વગરની સવારીઓ જોઇ,ચારદરવાજામાં તહેવારોનો કોલાહલ શાંત થઇ ગયો

By GS TEAM
27 Aug 20252 mins read
વડોદરાના ઇતિહાસના સાક્ષી માંડવીએ DJ વગરની સવારીઓ જોઇ,ચારદરવાજામાં તહેવારોનો કોલાહલ શાંત થઇ ગયો

વડોદરાઃ વડોદરાની ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી બનેલો માંડવી દરવાજાનો વિસ્તાર તહેવારોમાં ડીજે વગરના ધમધમાટથી શાંત થઇ ગયો છે.

વડોદરાના રાજવી શાસન વખતના ચાર દરવાજાની વચ્ચે આવેલો માંડવી દરવાજાનો ઇતિહાસ મોગલ શાસન સાથે પણ સંકળાયેલો છે.માંડવી વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમના તહેવારોમાં ખૂબ જ ધમધમાટ જોવા મળતો હતો.તેમાં પણ ડીજેની બોલબાલા થઇ ત્યારથી માંડવી વિસ્તારમાં તહેવારોમાં ડીજેની બોલબાલા જોવા મળતી હતી.

શ્રીજીની સવારીઓમાં તો માંડવી દરવાજા નીચે આવેલા મેલડી માતાનું મહત્વ ખૂબ વધી જતું હતું.ડીજે સાથેની દરેક સવારીમાં અહીં ફરજિયાત મેલડી માતાના ડાકલા વગાડવામાં આવતા હતા અને તેના તાલે હજારો યુવાઓ ઝુમતા હતા.

પરંતુ વડોદરાના સારા-નરસા પ્રસંગોનો સાક્ષી બનેલો માંડવી દરવાજો હવે તેના અસ્તિત્વની લડાઇ લડી રહ્યો છે અને તેને કારણે પોલીસ કમિશનરની અપીલને માન આપીને તાજિયા બાદ હવે શ્રીજીની સવારીઓમાં પણ ડીજે બંધ કરવામાં આવ્યા છે.જેથી શ્રીજીની સવારીઓનો ધમધમાટ શાંત થઇ ગયો છે.માંડવી દરવાજો ડીજે વગરની આ ઘટનાનો પણ સાક્ષી બન્યો છે.

છ મહિનાથી બૂમો પડી રહી છે છતાં માંડવીનું રિસ્ટોરેશન કેમ શરૃ થતું નથી

માંડવી દરવાજાના કાંગરા ખરી રહ્યા હોવાની બૂમો છ મહિનાથી પડી રહી હોવા છતાં રિસ્ટોરેશનનું કામ કેમ શરૃ નહિ થતાં વધુ નુકસાન થઇ રહ્યું છે.

સ્થાનિક આગેવાન કીર્તિ પરીખે કહ્યું હતું કે,માંડવી દરવાજાના કાંગરા નહિ હવે પીલરને નુકસાન થઇ રહ્યું છે.વહીવટી અધિકારીઓ મુલાકાતો લઇ રહ્યા છે.પરંતુ તેમ છતાં હજી પાકે પાયે કામ શરૃ થયું નથી.

સ્થાનિકોના કહ્યા મુજબ,છ મહિનાથી કામ નહિ શરૃ કરવાનું કારણ શું તેની કોઇ જાણકારી આપવામાં આવતી નથી. પરિણામે, વડોદરાની ઐતિહાસિક ધરોહરને રોજેરોજ નુકસાન થઇ રહ્યું છે.