મારી કુંડળીમાં બે લગ્નનો યોગ છે એટલે તારી સાથે કરવા ખાતર જ લગ્ન કર્યા..લગ્નના 3 મહિનામાં જ પતિએ પત્નીને તરછોડી
Vadodara : વડોદરાના બીલ ગામ રોડ પર નીલકંઠ પામમાં રહેતી પરિણીતા પ્રિયંકા પ્રજાપતિએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અમે અગાઉ જામનગરમાં રહેતા હતા ત્યારે માર્ચ 2020 માં મારા લગ્ન રાજકોટ નેમીનાથ ફ્લેટમાં રહેતા રાહુલ વ્રજલાલ ઘેડીયા સાથે થયા હતા. લગ્ન બાદ હું સાસરીમાં રહેવા ગઈ હતી. તેના બીજા જ દિવસે મારા ભાઈના લગ્ન હતા પરંતુ મારા સાસુ વિજ્યાબેને મને મારા ભાઈના લગ્નમાં જવાની ના પાડી દીધી હતી. લગ્નના સાત દિવસ પછી મારા સાસુ, સસરા, જેઠ, જેઠાણી તથા પતિએ ઘરના કામકાજ બાબતે મને હેરાન કરવાનો શરૂ કરી દીધું હતું. મારા સાસુ મને કહેતા કે મારી મોટી વહુ તો બહુ રૂપાળી અને ગોરી છે તું કાળી છે તારા છોકરાઓ પણ કાળા જ થશે. મારા પતિ પણ મને કહેતા હતા કે તું પહેલેથી જ ગમતી ન હતી પણ મારી કુંડળીમાં બે લગ્ન છે એટલે તારા સાથે કરવા ખાતર જ લગ્ન કર્યા છે બાકી તો તારા જેવી સાથે હું લગ્ન ના કરતો.
મેં મારા સાસરિયાંઓને કહ્યું કે તમે લોકોએ આવું કરીને મારી જિંદગી કેમ બગાડી તેઓએ પણ રાહુલની કુંડળીમાં બે લગ્નની વાત કરી હતી અને તને કાઢી મૂકવાની છે તેવું કહ્યું હતું. લગ્નના ત્રણ મહિના પછી મારા પતિએ મારા ભાઈને ફોન કરીને મને લઈ જવાનું કહેતા મારો ભાઈ મને લઈ ગયો હતો. ત્યારબાદ સાસરીવાળા મને તેડવા આવ્યા નથી તેમ જ મારા પતિ લગ્નના ત્રણ મહિના પછી ઓમાન દેશમાં જતા રહ્યા હતા.