ઉનાળાના આરંભ સાથે દાદર, અળાઈ ફોટોડર્મેટિટિઝ સહિત કેસોમાં વધારો
દાદર મોટી ઉંમરના લોકોને પરસેવાના ભાગે અને પાણીમાં પગ રહે છે તેવા ખેડૂતો ને પગમાં વધુ જોવા મળ્યા છે : સૂર્યના આકરાં તાપથી અને બફારાથી ત્વચા ઉપર જોખમ : દાદર અત્યંત ચેપી રોગ, બારોબાર ખરીદેલ મલમથી સ્ટ્રેચ માર્ક રહેવા ભીતિઃ
રાજકોટ, : ઉનાળાનો તાપ શરૂ થવાની સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અળાઈ, દાદર (રિંગવોર્મ) અને ફોડલા થાય તેવા ત્રણ પ્રકારના ત્વચા રોગમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. આ ત્રણેય રોગ દર્દીને ખૂબ પીડાદાયી અને ત્રાસરૂપ હોય છે . શહેરના તબીબી સૂત્રો અનુસાર ખાસ કરીને અળાઈ અને દાદરના ત્વચા રોગોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે અને હજુ આકરો તાપ વરસતો રહેશે,ભેજયુક્ત બફારો રહેશે ત્યાં સુધી આ રોગનું જોખમ છે પરંતુ, સાથે સાથે થોડી કાળજી લેવાથી તેનાથી બચી પણ શકાય છે.
આ અંગે એશિયાના દેશોના ડર્મેટોલોજીસ્ટ એસો.ના બોર્ડ મેમ્બર, સાર્ક દેશોમાં એડવાઈઝરી મેમ્બર અને દેશના ડર્મેટોલોજીસ્ટ એસો.ના પૂર્વ પ્રમુખ શહેરના ડો.સુરેશ જોષીપુરાએ ત્રણેય રોગ વિષે જણાવ્યું કે (૧) બપોરના તીવ્ર તાપમાં જતા લોકોને પરસેવાની ગ્રંથિ બ્લોક થઈ જાય ત્યારે પ્રિક્લી હીટ અર્થાત્ અળાઈ થાય છે. પરસેવો વળતો હોય તે અટકવાથી તે થાય છે જેમાં ટાંચણીના ટોપકાં જેવી ફોડકી થાય છે. તે સહેલાઈથી મટે છે પરંતુ, ખંજવાળાય તો પાકવાનું જોખમ રહે છે. તેને અટકાવવા પાણી વધારે પીવું, તડકાંમાંથી ઘરે આવ્યા બાદ ઠંડા પાણીથી સ્નાન કરવું અને સારવારમાં કેલામાઈન પ્રકારના લોશન વપરાય છે. આ કેસો રાજકોટમાં હાલ સતત વધી રહ્યા છે.
જ્યારે (2) દાદર કે દરાજ (રિંગવોર્મ) વધુ પીડાદાયી અને ખૂબ ચેપી રોગ છે. તે ફંગલ ઈન્ફેક્શનથી થાય છે. ઘણા લોકો પોતાની રીતે મલમ ખરીદીને લગાવે છે પરંતુ, તે મલમ સ્ટીરોઈડવાળા હોય તેનાથી ત્વચા પાતળી બની જવાનું અને ચામડી પર સ્ટ્રેચમાર્ક રહી જવાનું જોખમ છે. આ રોગથી બચવા વ્યક્તિગત સફાઈ ખૂબ જરૂરી છે. દર્દીના કપડાં અન્યો સાથે ન ધોવા જોઈએ, કારણ કે સામાન્ય સાબુથી આ ફંગસ મરતી નથી. ગરમ પાણીમાં બોળવા જોઈએ, અલગ ધોઈ અલગ રાખવા જોઈએ. તેમણે ઉમેર્યું કે સૌરાષ્ટ્ર દરિયાકાંઠે હોય અહીં તેના કેસો વધારે જોવા મળે છે.
જ્યારે (3) ફોટોડર્મેટિટિસ એ ઉનાળામાં શરીરનો જે ભાગ સીધો તડકાંના સંપર્કમાં આવે ત્યાં થઈ જાય છે જ્યાં ચામડી લાલ થઈ જાય, ખંજવાળ આવે વગેરે લક્ષણો હોય છે. આ કેસો પણ હાલ દેખાવા લાગ્યા છે.
તેમણે આવા ત્વચારોગોથી બચવા લોકોને (1) તડકાંમાં જવાનું શક્ય એટલું ટાળવા, કારમાં પણ તડકો ન લાગે તે જોવા (2) મહત્તમ પાણી પીવા (3) સુતરાઉ ,ખુલતા અને શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા (4) દિવસે બહાર જતી વખતે અચૂક છત્રી કે માથે ટોપી પહેરવી (૫) ઠંડા પાણીથી સ્નાન કરી સ્વચ્છતા રાખવા જણાવ્યું છે.