વડોદરા,બે દિવસ પહેલા લિફ્ટ રિપેર કરવા ગયેલા વાયરમેનનું વીજ કરંટ લાગતા મોત થયું હતું. બનાવના ૨૪ કલાક પછી તેના મોત અંગે જાણ થઇ હતી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અટલાદરા માધવનગર વુડાના મકાનમાં પરિવાર સાથે રહેતા વિજય અમરિષભાઇ સોલંકી (ઉં.વ.૨૮) વાયરમેનનું કામ કરે છે. ૧૭ મી તારીખે તે અનગઢ ગામે કામ માટે ગયો હતો. ત્યાંથી પરત આવીને સાંજે તે અઢી વર્ષથી બંધ પડેલી લિફ્ટ રિપેર કરવા માટે ગયો હતો. ૭ મા માળે લિફ્ટના કંટ્રોલ પેનલરૃમમાં તે લિફ્ટ રિપેર કરતો હતો.તે દરમિયાન અચાનક વીજ કરંટ લાગતા તે ઢળી પડયો હતો. મોડીરાત સુધી તે પરત નહીં આવતા પરિવારે શોધખોળ શરૃ કરી પોલીસને જણાવ્યું હતું. પરંતુ, તેનો પતો લાગ્યો નહતો. ગઇકાલે રાત્રે દુર્ગંધ આવતા સ્થાનિક રહીશે મીડિયાને અને ફાયરબ્રિગેડને જાણ કરતા સ્ટાફ ત્યાં દોડી ગયો હતો. વીજ સપ્લાય બંધ કરાવી મૃતદેહને બહાર કાઢી પી.એમ. માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.


