જામનગરમાં 'પતિ પત્ની અને વો'ના પ્રણય ત્રિકોણ કિસ્સામાં પત્નીને ઘરમાંથી હાંકી કઢાઈ: સાસુને પણ માર માર્યો: પતિ સામે ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં હાપા ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં પતિ પત્ની અને વોહ ના પ્રણય ત્રિકોણ કિસ્સામાં નવો વળાંક આવ્યો છે. પતિએ અન્ય યુવતીના પ્રેમમાં પડી જઇ પોતાની પત્નીને ત્રાસ આપી ઘરમાંથી હાંકી કાઢી છે, ઉપરાંત તેની સાસુ ઉપર પણ હુમલો કરી દીધો હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પતિ સામે ફરિયાદ નોંધાવાઇ છે.
જામનગરમાં હાપા ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતી ભાવનાબેન જયંતીભાઈ રાજગોર નામની 38 વર્ષની યુવતીના લગ્ન આજથી બાર વર્ષ પહેલા જામનગરના પરેશકુમાર આશા સાથે થયા હતા. જો કે બાર વર્ષના લગ્ન ગાળા દરમિયાન કોઈ સંતાન પ્રાપ્ત થયું નથી.
શરૂઆતમાં સંયુક્ત પરિવારમાં પતિ પત્ની રહેતા હતા, પરંતુ થોડા સમય બાદ પતિ પત્ની અલગ રહેવા માટે ચાલ્યા ગયા હતા, ત્યાં પતિએ પોતાની પત્નીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું, જેથી પત્ની ભાવનાબેન રીસાઈને પોતાના માવતરે રહેવા માટે આવી ગઈ હતી, અને છેલ્લા ત્રણ મહિનાથી પતિ પરેશકુમાર આશા જામનગર ની નયનાબેન મોતા નામની અન્ય એક મહિલાના પ્રેમમાં પડ્યા છે, અને તેની સાથે રહેવા માટે ચાલ્યા ગયા હોવાથી પતિ સાથે આ બાબતે ઝઘડો થયો હતો. પરેશ આશા એ ઉસ્કેરાઈને પોતાની પત્ની ભાવનાબેનના ઘેર ધસી આવ્યો હતો, અને માથાકૂટ કરી હતી. આ વેળાએ તેણીના સાસુ સાવિત્રીબેન કે જેઓએ સમજાવવા જતાં પરેશ ઉશ્કેરાયો હતો, અને પોતાના સાસુ સાથે ઝપાઝપી કરી હુમલો કરી દીધો હતો.
આખરે આ મામલો પંચકોસી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે અને ભાવનાબેને પોતાના પતિ પરેશ આશા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મામલે એએસઆઇ શોભરાજસિંહ જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.








