પરપુરૂષ સાથે સંબંધ હોવાની શંકાથી પત્નીને ગળાટૂંપો દઈને ઘાતકી હત્યા
અમરેલી તાલુકાના વાંકિયા ગામનો ચકચારી બનાવમાં ઈજાનાં નિશાન જોઈને પોલીસે પુછતા પતિએ કબુલ્યું કે, 'હા સાહેબ, મારી પત્ની અન્ય પુરૂષ સાથે વાતો કરતી હોવાથી મેં જ મારી નાખી..'
અમરેલી, : અમરેલી તાલુકાના વાંકીયા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પરપ્રાંતીય શ્રમિકે પરપુરૂપ સાથે સંબંધ હોવાની શંકા રાખી પોતાની પત્નીની ગળું દબાવી હત્યા કરી નાખી હતી. તેણીનો મૃતદેહ મળ્યા બાદ શરીરે ઈજાના નિશાન જોતા પોલીસે પુછતાછ કરવાથી પતિએ પોતાનો ગુનો કબૂલી લીધાનું પણ સામે આવી રહ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના કાકડબારી ગામના સંજય મોહનીયા અને તેની 20 વર્ષીય પત્ની રેખા મોહનીયા વાંકીયા ગામમાં અલ્પેશભાઈ સાવલીયાની વાડીમાં ખેતમજૂરી કરતા હતા. ગઈકાલે ગુરૂવારે પત્ની રેખા મોહનીયાનો મૃતદેહ મળ્યો હતો. જેના શરીર પર ઇજાના નિશાન જોઈને વાડીમાલિકને શંકા ઉપજી હતી, જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસે મૃતદેહનું નિરીક્ષણ કરતા કેટલાક નિશાન મળી આવ્યા હતા, જેના પગલે લાશનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન, મૃતક રેખાના પિતાએ પોતાના જમાઈ સંજય પર શંકા વ્યક્ત કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અમરેલી તાલુકા પોલીસ ટીમે મૃતકના પતિ સંજયને ઝડપીને પૂછપરછ કરતા ભાગી પડીને પોતે જ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. સંજયે પોલીસને જણાવ્યું હતું કે, 'હા સાહેબ, મારી પત્ની અન્ય પુરૂષ સાથે વાત કરતી હોવાની શંકાથી મેં જ તેનું ગળું દબાવીને હત્યા કરી છે.' જેથી અમરેલી પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.