Jamnagar News : જામનગરના જામજોધપુર પંથકમાં માર્કેટિંગ યાર્ડમાં એક મહિલાની તેના પતિ દ્વારા જ હત્યા નિપજાવ્યાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ પત્ની દ્વારા પતિની હત્યા નિપજાવ્યાનો વધુ એક કિસ્સો સામે આવતાં હાહાકાર મચી ગયો છે. જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં એક વાડીમાં ખેત મજૂરી કામ કરતા શ્રમિક યુવાન ઉપર તેની જ પત્ની અને સાળાએ લાકડાના ધોકા વડે હુમલો કરી હત્યા નિપજાવી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને કોથળામાં પથ્થર સાથે બાંધીને કુવામાં ફેંકી દીધો હતો. કોથળામાંથી મૃતદેહ મળી આવતાં પોલીસ તપાસમાં સમગ્ર ઘટના પરથી પરદો ઉચકાયો હતો, અને મૃતકની ઓળખ થઈ હતી. પોલીસે મૃતકની પત્ની અને સાળા સામે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામજોધપુરમાં પત્નીએ સાળા સાથે મળીને પતિની કરી હત્યા
મળતી માહિતી મુજબ, જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં રહેતા ખેડુત નાગાભાઈ ભીખાભાઈ જાડેજાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની સોહમ ઉર્ફે કાળુ રામકીશનભાઈ ભાભોર છેલ્લા કેટલાક દિવસથી લાપતા હતો. વાડી માલિકને જણાવ્યું હતું કે, 'સોહમની પત્ની રાધાબેન અને તેનો ભાઈ પત્તલસિંગ ગુલસિંગ ધારવે વતન ગયા હતા. ત્યારબાદ વાડીમાં અજગર નીકળે છે, તેવા બહાનાઓ બતાવીને બીજી વાડીમાં કામ કરવા માટે બંને ચાલ્યા ગયા હતા.'
કુવામાંથી મૃતદેહ મળ્યો
આ દરમિયાન બાજુની વાડીના ખેડૂતોને કુવામાં દુર્ગંધ આવતી હોવાથી 112 નંબરની જનરક્ષક પોલીસ ટીમને બોલાવી લીધી હતી. જેમાં પોલીસ તપાસમાં કોથળામાં ચેક કરતાં સોહમ રામકિશન ભાભોરનો મૃતદેહ હોવાનું જણાયું હતું. આ પછી પોલીસે મૃતકની પત્ની અને સાળાને ઘટનાસ્થળે બોલાવીને પૂછપરછ કરતાં તેમણે હત્યા નીપજાવી હોવાનું જણાવ્યું હતું.
મૃતકની પત્નીએ કર્યો ખુલાસો
મૃતકની પત્નીએ જણાવ્યું હતું કે, સોહમના લગ્ન પહેલા અગાઉ પણ લગ્ન થયા હતા. જે પૈકી બે પુત્રીઓ જન્મી હતી, જે તેમની સાથે રહેતી હતી. બનાવની રાત્રે નજીકના ઘરની દીકરીઓ સોહમ અડપલા કરીને હેરાન પરેશાન કરતો હોવાનું જણાયું હતું. જેથી ઉસકેરાટમાં આવીને મારા સાળા સાથે મળીને અમે લાકડાના ધોકાથી સોહમને માર મારી પતાવી દીધો હતો. પુરાવાનો નાશ કરવાના મૃતદેહને કોથળામાં પથ્થર સાથે બાંધીને કુવામાં ફેંકીને પોતે બીજી વાડીમાં રહેવા ચાલ્યા ગયા હતા.'
સમગ્ર મામલે મૃતકની પત્ની અને સાળા સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


