વિધર્મી સાથે લગ્ન નોંધણી માટે મુંબઇની પસંદગી શા માટે,તપાસનો વિષય

વડોદરાઃ વિધર્મી સાથે લગ્નના કિસ્સામાં મેરેજ રજિસ્ટ્રેશન માટે અન્ય રાજ્યની પસંદગી કરવામાં આવતી હોવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
વડોદરા શહેરમાં વિધર્મી સાથે લગ્નની નોંધણીના જુદાજુદા બે કિસ્સામાં બંનેના લગ્નની નોંધણી માટે મુંબઇની પસંદગી કરવામાં આવી હોવાની વિગતો ચર્ચામાં રહી છે.
આવી જ રીતે વડોદરામાં પણ વિધર્મી સાથે લગ્નની નોંધણી માટે સૌરાષ્ટ્રનો કિસ્સો આવ્યો હોવાની પણ વિગતો બહાર આવી છે.જેથી ઉપરોક્ત કિસ્સાઓ માટે વધુ વિગતો એકત્રિત કરવા માટે કાર્યકરો દોડધામ કરી રહ્યા છે.
રાજ્ય સરકાર એક તરફ વિધર્મી સાથેના લગ્ન માટે કાયદા લાવી રહી છે ત્યારે વડોદરાના બે લગ્નના કિસ્સામાં મુંબઇમાં રજિસ્ટ્રેશન કરવાની બાબતની તપાસ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે.
પંચમહાલની 7 પંચાયતોમાં 3411 લગ્ન નોંધણીનો મુદ્દો ગરમાયો હતો
લગ્ન નોંધણીના નિયમોની ક્ષતિઓ ચર્ચાનો વિષય બની હતી.જેમાં પંચમહાલના ગામોમાં સંખ્યાબંધ લગ્નની નોંધણીના મુદ્દે રાજ્ય સરકારે તપાસના હુકમ આપ્યા હતા.પંચમહાલની ભદ્રાલા,મલાવ,નાથકુવા, કંકોડાકોઇ, ભાણપુરા,કણબીપાલ્લી અને કાલંત્રા સહિત કુલ સાત ગ્રામ પંચાયતમાં પાંચ વર્ષ દરમિયાન ૩૪૧૧ લગ્નની નોંધણીની વિગતો બહાર આવતાં પાંચ તલાટીઓ સામે તપાસ કરવામાં આવી હતી.જો કે હવે નવા કાયદામાં ઘણો સુધાર કરાયો છે.









