ખુદ જિલ્લા પ્રમુખ જયંતિ રાજકોટીયાએ 350 કરોડ ઉછીના લીધા તેમાં 125 કરોડ હવે બાકી છે તેવું નિવેદન આપ્યું છે : બાંધકામ માટે કરોડો ઉછીના લીધા અને નાણાં ફસાઈ ગયા : જંગી નાણાં આપનારા કોણ
રાજકોટ, : મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ અને શરતભંગ સહિતના મુદ્દે વિવાદમાં આવેલી વિરાણી હાઈસ્કૂલમાં ત્રણેક વર્ષથી ટ્રસ્ટી જયંતિ રાજકોટીયા (રહે.મોરબી)એ રૂ।. 700થી 800 કરોડ અનેક લોકો પાસેથી ઉછીના લઈને હજુ અનેકના નાણાં પરત કર્યા નથી ત્યારે આ કરોડો રૂ।. કઈ રીતે મેળવાયા,તેમાં નાણાં ધીરનારનું પ્રમાણપત્ર છે કે કેમ, અન્યો ઉપર કરોડોના વ્યવહારમાં ઈ.ડી.ની રેડ પડે છે ત્યારે ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો-સાંસદો પર ઈ.ડી.ના દરોડા કેમ પડતા નથી તે પ્રશ્ન સાથેની રજૂઆત આજે નેતાઓએ રેન્જ આઈ.જી.પી.ની ઓફિસ અને મુખ્ય આવકવેરા કમિશનર કચેરીએ ધસી જઈને કરી છે.
મોરબી જિલ્લાના આ કથિત કૌભાંડમાં ઈ.ડી.ઝુકાવે અને તટસ્થ તપાસ કરાવે તેજ મોરબી પોલીસ ફરિયાદી બનીને વિશ્વાસઘાત, છેતરપિંડી અંગે ભાજપના નેતા વિરૂધ્ધ ગુનો નોંધાવે અને આ નેતા પાસે જેમના પૈસા ફસાયા છે તેવા લોકોની ફરિયાદ લેવા વ્યવસ્થા કરવા અને જયંતિ રાજકોટીયાનો પાસપોર્ટ જમા લેવા નેતાઓએ માંગણી કરી છે. રજૂઆતમાં એવો આક્ષેપ કરાયો છે કે લેણદારો જ્યારે નાણાં લેવા જાય ત્યારે ભાજપના નેતા ધમકાવે છે.
આ અંગે જયંતિ રાજકોટીયાનો સંપર્ક સાધતા તેમણે સ્વીકાર્યું કે રૂ।. 350 કરોડ કન્સ્ટ્રક્શન કામ માટે જુદા જુદા લોકો પાસેથી લીધા હતા જેમાં હાલ 125 કરોડ જેવી રકમ ચૂકવવાની બાકી છે. બધા લેણદારો એક સાથે રકમ માંગવા આવતા આપી શકેલ નથી. આ અન્વયે પણ કરોડો રૂ।.ઉછીના આપનારા કોણ છે તે સવાલ પણ જાગ્યો છે .


