ઓઘડનાથ ટૂક પર દિગંબર જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવનાર ભવનાથનો વેપારી ઝબ્બે

શા માટે ઝંડો ફરકાવ્યો એ સહિતના મુદ્દે પૂછપરછ : વૈમનસ્ય ફેલાવવા પ્રયાસ કરનાર વીડિયોમાં દેખાતા અન્ય શખ્સોની ઓળખ કરી પકડવા માટેની તજવીજ
જૂનાગઢ, : થોડા દિવસો પહેલાં અમુક લોકોએ ગિરનારના ઓઘડ શિખર પર જઈને દિગંબર જૈન સમાજનો ઝંડો ફરકાવ્યો હતો અને ત્યાં લખાણ કર્યું હતું. આ હરકત વૈમનસ્ય ફેલાય એવા હેતુથી કરવામાં આવી હોવાથી ફરિયાદ દાખલ થઈ હતી. આ પ્રકરણમાં પોલીસે ભવનાથમાં દુકાન ધરાવતા અને રહેતા એક શખ્સની ધરપકડ કરી છે અને વીડિયોમાં દેખાતા અન્યની ઓળખ કરી તેને પકડવા તજવીજ હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગત મુજબ ગિરનારની ચોથી ટૂક ઓઘડ ટૂંક તરીકે ઓળખાય છે. નાથ સંપ્રદાય હસ્તકની આ જગ્યા રાજ્યરક્ષિત સ્મારક છે તેમ છતાં થોડા દિવસો પહેલા આ સ્થળે અમુક લોકોએ દિગંબર જૈન સમાજનો ઝંડો ફરકાવી ત્યાં લખાણ પણ કર્યું હતું. આ અંગેના વિડીયો-ફોટો વાયરલ થયા નાથજીના દલીચાના મહંત સોમનાથજી ગુરૂ રાજનાથજી સાધુએ ફરિયાદ કરતા ભવનાથ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
આ પ્રકરણમાં પોલીસે આજે ઓઘડ ટુંક પર દિગંબર જૈન સમાજનો ઝંડો ફરકાવનાર ભવનાથમાં રહેતા અને દુકાન ધરાવતા અનુરાગ નેમિચંદ જૈનની ધરપકડ કરી છે. આ અંગે ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે અનુરાગ જૈનની ધરપકડ કરવામાં આવી છે. ફોટો-વિડીયોમાં સાથે કોણ હતા તેની ઓળખ કરી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરનારને પકડી કાર્યવાહી કરવામાં આવશે. હાલ અનુરાગ જૈને શા માટે આ કૃત્ય કર્યું, તેની પાછળ તેનો ઈરાદો શું હતો તે સહિતના મુદે પૂછપરછ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં અન્યની ધરપકડ કરવામાં આવશે.









