સિટી બસ અનેકને કચડી મારે કે બસ ઉપર માત્ર ચિત્ર દોરે-દંડ એક સરખો!
રાજકોટ મનપાના ટેન્ડરમાં તદ્દન મજાકરૂપ નિયમો-શરતો : 48 પ્રકારના નિયમભંગમાં માત્ર કિમી દીઠ પેમેન્ટ કાપવા જોગવાઈ પણ લોકોના જીવ જોખમમાં મુકાય તો કોન્ટ્રાક્ટ ચાલુ રાખવા વ્યવસ્થા : ડ્રાઈવર લાયસન્સ વગર હોય,ચાલુ બસે મોબાઈલ વાપરે,બસ બ્રેકડાઉન, 60 કિમીથી વધુ ઝડપે હાંકે તો સૌથી ઓછો માત્ર રૂ।. 1337નો દંડ
રાજકોટ, : રાજકોટ મહાપાલિકાની સિટી બસ ચલાવવા પ્રજાના ખિસ્સામાંથી વર્ષે રૂ।. 60 કરોડથી વધુનો ખર્ચ થાય છે જે આ વર્ષે 90 કરોડને પાર થાય તેવી શક્યતા છે. રોજ 50થી 55,000 મુસાફરો 100 સીએનજી અને 114 ઈલેક્ટ્રીક મીડી બસમાં મુસાફરી કરે છે, આ સિટી બસો શહેરના ગીચ ટ્રાફિક કે જ્યાં મહિલા,બાળકો,વૃધ્ધો પસાર થતા હોય છે ત્યાં ચલાવવા માટે મનપાએ જે કહેવાતા તજજ્ઞાએ તૈયાર કરેલ ટેન્ડરમાં માત્ર શરતોનો અભ્યાસ કરતા સિટી બસ ગમે એટલા નાગરિકોને કચડી નાંખે કે પછી બસ ઉપર માત્ર વધારાના ચિતરામણા-પેઈન્ટીંગ કરે તો તો બન્ને કેસમાં સમાન 50 કિ.મી.ની પેનલ્ટી થાય છે. 1 KM બસ ચલાવવા રૂ।. 53.48 ચૂકવાય છે એટલે 50 કિ.મી.ની આ પેનલ્ટી માત્ર રૂ।. 2674 થાય.
સિટી બસમાં બે પાર્ટમાં કૂલ 48 નિયમભંગ બદલ કેટલી પેનલ્ટી કરવી તેની જોગવાઈ થયેલી છે. જે મૂજબ (1) બસ 10 મિનિથી વધુ મોડી થાય, (2) બસ સ્ટોપ પર વધુ સમય બસ ઉભી રાખવી, (3) વચ્ચેથી મુસાફરો લેવા, (4) બસ સ્ટોપ પર બસ ઉભી ન રાખવી, (5) રૂટ સિવાયના માર્ગે બસ હંકારવી, (6) ઈન્ડીકેટર-કાચ તુટેલા હોય છતાં બસ ચાલે, (7) બ્રેકડાઉન, (8) ડ્રાઈવર ચાલુ બસે મોબાઈલ પર વાત કરે, (9) અધિકારી સાથે ડ્રાઈવર ગેરવર્તણુક કરે, (10) બસમાં કોઈ ડેકોરેટીવ વસ્તુ મુકી હોય (11) સૂચનાનું પાલન ન કરાય, (12) ડ્રાઈવર ઓળખપત્ર કે હેવીડયુટી લાયસન્સ વગર મળે, (13) બસ ઓપરેટર સ્ટાફ ટિકીટ વગર મુસાફરે કરે, (14) ચાલુ બસમાં લાઈટમાં ડિફેક્ટ, (15) પેસેન્જર સીટ તુટેલી હોય, (16) પેસેન્જર ડોર બગડેલો, (17) બહાર ઘોબા (ડેન્ટ) નજરે પડે, (18) બસની અંદરની લાઈટ ખરાબ, (19) બસમાં મંજુરી વગરના સ્ટીકર વગેરે નિયમો માટે સૌથી ઓછો માત્ર 25 કિ.મી.ની પેનલ્ટી (રૂ।. 1337)ની પેનલ્ટી જ થાય છે!!
જ્યારે ડ્રાઈવર દારૂ પીધેલો પકડાય તો 100 કિ.મી.ની (રૂ।.૫૩૪૮) પેનલ્ટીની જોગવાઈ છે.જીવલેણ અકસ્માત માટે ૫૦ કિ.મી.નું પેમેન્ટ કપાય પણ બસ સ્ટેશનને માઈનોર ડેમેજ થયું હોય તો તેથી બમણી પેનલ્ટી કરાય છે. સૌથી વધારે પેનલ્ટી 200 કિ.મી.ની એટલે કે 10,694ની પેનલ્ટી (1) બીનઅધિકૃત ડ્રાઈવર બસ ચલાવે તો (2) સિટી બસ ઓછી વપરાશમાં મુકી હોય (જેમ કે આજે 17 બસો ઓછી મુકાઈ છે) (3)ડ્રાઈવર એકથી વધુ શિફ્ટમાં હોય (4) બસનો અન્ય હેતુ માટે ઉપયોગ (5) ફેર કલેક્શન યુનિટને નુક્શાન વગેરે નિયમભંગ માટે કરવામાં આવે છે. અને અંતે, ગંભીર વાત એ છે કે ગમે એટલા નિયમભંગ થાય, ગમે એટલા લોકોના જીવ જાય, શહેરમાં ત્રાસ સર્જાય તો પણ એજન્સી સાથેનો કરાર રદ કરવા કાર્યવાહી કરવી ફરજીયાત નથી. માત્ર પેનલ્ટી કરીને જે ચાલતુ હોય તે ચાલવા દેવાય છે.