Get The App

વડોદરામાં પ્રિમોન્સૂનની કામગીરીમાં દાંડિયા બજારના વરસાદી કાંસની સંપૂર્ણ સફાઈ ક્યારે થશે

Updated: May 24th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરામાં પ્રિમોન્સૂનની કામગીરીમાં દાંડિયા બજારના વરસાદી કાંસની સંપૂર્ણ સફાઈ ક્યારે થશે 1 - image


Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં પ્રિમોન્સૂનની કામગીરી થઈ રહી છે અને ખાસ તો 31 મે સુધીમા તમામ વરસાદી કાંસની સફાઈ પૂર્ણ કરવા તાકીદ થઈ છે. કોર્પોરેશનના વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ દર વર્ષે ચોમાસામાં દાંડિયા બજાર વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે. પાણીના નિકાલ માટે જે ઐતિહાસિક લકડીપુલ પાસે આવેલો ગાયકવાડી શાસન વખતનો વરસાદી કાંસ સંપૂર્ણ સાફ નહીં હોવાથી પાણીનો નિકાલ થતો નથી અને તેના લીધે આગળ જતું પાણી અટવાઈ જતા જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લખેલા પત્રમાં જણાવ્યું છે કે દાંડિયા બજાર વરસાદી કાંસ પાણીના નિકાલ માટેનો છે, પરંતુ ત્યાં વિઝીટ કરતા જણાયું છે કે તે સાફ થયો નથી, જેથી દીવા તળે અંધારું હોવાનું દેખાઈ રહ્યું છે. શહેરના અન્ય વરસાદી કાંસની સફાઈ થયાના દાવા કરાય છે. દર વર્ષે થોડા વરસાદમાં શહેરની હાલત બેટ સમાન થઈ જાય છે, તેનું કારણ આ વરસાદી કાંસ માંથી પાણીનો નિકાલ નહીં થવાનું છે. હાલ વરસાદી કાંસમાં ઝાડી ઝાંખરા ઊગી નીકળેલા દેખાય છે. કચરો જામેલો છે. જે પાણીને અવરોધશે, માટે આ બધું હટાવી તેની સફાઈ કરવી જરૂરી છે. ચોમાસામાં સફાઈના વાકે શહેરીજનો હેરાન ન થાય તે માટે જળબંબાકારની સ્થિતિમાંથી શહેરીજનોને ઉગારવા માટે પગલાં લેવા અનુરોધ કર્યો હતો.

Tags :