Get The App

અરબ સાગરમાં ચક્રવાતની આગાહી: અંબાલાલ પટેલે કહ્યું- આ તારીખ પછી આંધી-વંટોળ આવશે

Updated: May 17th, 2024

GS TEAM

Google News
Google News
અરબ સાગરમાં ચક્રવાતની આગાહી: અંબાલાલ પટેલે કહ્યું- આ તારીખ પછી આંધી-વંટોળ આવશે 1 - image


Weather In Gujarat: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર સહિત અનેક સ્થળે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઉનાળુ પાકને મોટું નુકસાન થયું છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને ફરી મોટી આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 24મી મેથી પાંચમી જૂન પછી હવામાનમાં પલટો આવશે. ચોમાસું વહેલું આવશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. ત્યાર પછી 17મી મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે.17થી 24મી મે વચ્ચે આંદામાન અને નિકોબાર ટાપુ પર પણ ચોમાસું બેસી જશે. આ ઉપરાંત ગુજરાતમાં સાતમીથી 10મી જૂન સુધીમાં જુદા જુદા ભાગોમાં ચોમાસું બેસશે. જ્યારે 14મીથી 18મી જૂન દરમિયાન આંધી-વંટોળ સાથે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે શું આગાહી કરી

ભારતીય હવામાન વિભાગ (IMD)એ દેશમાં ચોમાસું ક્યારે બેસશે તેનું અનુમાન અને તારીખ જણાવી છે. હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31મી મેની આસપાસ કેરળમાં પહોંચવાની શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં લગભગ સાત દિવસના આગળ-પાછળના વિરામ સાથે પ્રવેશે છે. આ પછી તે સામાન્ય રીતે ઉત્તર ભારત તરફ ઝડપથી આગળ વધે છે અને 15મી જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે. 

IMDએ સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી

નોંધનીય છે કે IMDએ ગયા મહિને, દક્ષિણ-પશ્ચિમમાં  જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલનારા ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી. જૂન અને જુલાઈ એ ખેતી માટે સૌથી મહત્ત્વપૂર્ણ ચોમાસાના મહિનાઓ માનવામાં આવે છે કારણ કે ખરીફ પાકની મોટાભાગની વાવણી આ સમયગાળા દરમિયાન થાય છે. આ ઉપરાંત IMDએ વધુમાં જણાવ્યું હતું કે 'કેરળમાં ચોમાસાની શરૂઆતની તારીખ અંગેની તેની આગાહીઓ 2015 સિવાય છેલ્લા 19 વર્ષમાં સાચી સાબિત થઈ હતી.'

Tags :