હુકમ મુજબ વળતર નહીં ચુકવાય ત્યાં સુધી કામ પૂર્ણ થવા દઇશું નહીં : ખેડૂત સમાજ
સુરત જિલ્લામાં પાવર ગ્રીડની લાઇન મુદ્દે ખેડૂતો આક્રમક મૂડમાં
- કામરેજ સેવણીમાં મળેલી ખેડૂતોની
બેઠકમાં લડતની રણનીતિ નક્કી કરાઇ તમામ લાઇનનું કામ ઠપ કરાશે, વાહનરેલી
યોજી કલેકટરને આવેદન અપાશે
સુરત
સુરત
જિલ્લામાંથી પસાર થનારી વીજ લાઇનને લઇને લડત ચલાવી રહેલા ખેડૂત સમાજ અને ખેડૂતોની આજે
કામરેજમાં મળેલી બેઠકમાં જયાં સુધી હુકમ મુજબ ખેડૂતોને વળતર નહીં ચૂકવાય ત્યાં સુધી
કામગીરી પૂર્ણ નહીં થવા દેવાની અને આવતીકાલ સોમવારથી છ તાલુકામાં થઇ રહેલી કામગીરી
સંપૂર્ણ બંધ કરાવીને વિશાળ વાહનરેલી યોજીને લડત ચલાવવાનો નિર્ધાર વ્યકત કરાયો હતો.
સુરત જિલ્લાના છ તાલુકા પલસાણા, કામરેજ, બારડોલી, માંગરોળ, માંડવી, મહુવામાંથી પાવરગ્રીડની બે લાઇન અને એક સ્ટર્લાઇટની મળીને વીજ ટ્રાન્સમીશનનની ત્રણ લાઇન પસાર થઇ રહી છે. આ લાઇનને લઇને ખેડૂતો વળતરના મુદ્દે લડત ચલાવી રહ્યા છે. ખેડૂતોને નક્કી કરેલા વળતર મુજબ કંપની ચૂકવણું કરતી નહીં હોવાના આક્ષેપો સાથે આજે કામરેજના સેવણી ગામે ખેડૂતોની લડતની રણનીતિ નક્કી કરવા માટે એક બેઠક મળી હતી. આ બેઠકમાં સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલે જણાવ્યું હતું કે પાવરગ્રીડ કંપની દ્વારા ગામની ઉંચામાં ઉંચી જંત્રી કે પછી બાજુના ગામની ઉંચી જંત્રી અને ડિસ્ટ્રીકટ વેલ્યુએશન કમિટી દ્વારા નક્કી કરાયેલી જંત્રી આ ત્રણ જંત્રીમાં જે ઉંચીમાં ઉંચી જંત્રી હોય તે મુજબ વળતર ચૂકવવાનું નક્કી કરાયુ હતુ. આ હુકમ વચ્ચે વળતર ચૂકવવાના બદલે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૃ કરી છે. આથી આજે મળેલી બેઠકમાં જયાં સુધી વળતર ચૂકવવા અંગેનો હુકમ થયેલો છે તે મુજબ પહેલા વળતર ચૂકવો ત્યારબાદ બાકીની કામગીરી કરવી અને જો હુકમ મુજબ વળતર નહીં ચૂકવાયા તો અન્ય બીજી લાઇનો પસાર થવાની છે તે તથા ટાવર લાઇનની અધુરી કામગીરી પણ પૂર્ણ કરવા દઇએ નહીં. ટુકમાં ત્રણેય ત્રણેય લાઇનનું કામ અટકાવવાનું બેઠકમાં ઠરાવવામાં આવ્યુ હતુ. આવતીકાલ સોમવારથી છ તાલુકાની બધી લાઇનોનું કામ બંધ કરાવવામાં આવશે.
દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ (ઓરમા)એ જણાાવ્યું હતું કે, આગામી દિવસોમાં ખેડૂતો વિશાળ વાહનરેલી કાઢીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજુઆતો કરીને લડત આગળ ધપાવશે.