માંગરોળ ને ચોરવાડના દરિયામાં 6થી 10 ફૂટ ઊંચાં મોજાં ઉછળ્યાં
માંગરોળ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું : ગીર કાંઠાના બોર્ડર વિસ્તારમાં મિનિ વાવાઝોડાં બાદ દરિયામાં કરંટ દેખાયો : દરિયાકિનારે જવાની મનાઈ
જૂનાગઢ, : વાવાઝોડાની અસર દરિયામાં શરૂ થઈ ગઈ છે. માંગરોળ, ચોરવાડ સહિતના વિસ્તારના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. માંગરોળના દરિયામાં મોજા ૬થી ૧૦ ફૂટનાં મોજાં ઉછળી રહ્યા છે. દરિયામાં વાવાઝોડાની પરિસ્થિતિના કારણે માંગરોળ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
બંદર ઉપર વાવાઝોડાની પરિસ્થિતિઓ મુજબ 1થી 11નંબરના સિગ્નલ લગાવવામાં આવતા હોય છે. હવા તોફાની અથવા સપાટી વાળી છે કે નથી, વાવાઝોડું આવશે કે નહી તેની ચેતવણી આપતી નિશાની તરીકે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માંગરોળ દરિયામાં વાવાઝોડાનો કરંટ જોવા મળ્યો છે. તમામ માછીમારોને પણ દરિયામાંથી પરત બોલાવી નાની- મોટી હોડીઓને દરિયામાં નહી જવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. લોકોને પણ દરિયા કિનારે નહી જવાની તંત્રએ માર્ગદર્શિકા જાહેર કરી છે. માંગરોળના દરિયામાં દરરોજ કરતા આજે સવારથી અલગ મિજાજ જોવા મળ્યો હતો. દરિયામાં આવતા મોજા 6થી 10 ફુટ જેટલા ઉછળતા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે જે આગાહી આપી છે તે મુજબ ગઈકાલે મોડી રાત્રીના ગીર કાંઠાના બોર્ડર પરના વિસ્તારમાં મિનિ વાવાઝોડું હતું. આજે સવારથી તેની અસર દરિયામાં શરૂ થઈ ગઈ છે.