પાણીની પાઈપ લાઈન નાખ્યા બાદ લિકેજ
13 કરોડના ખર્ચે જય બિલનાથ, નીલકંઠ અને કનુભાઈ જે. પટેલ એજન્સીઓ દ્વારા એક વર્ષથી કામ પૂર્ણ જ થતું નથી
કપડવંજ નગરપાલિકા દ્વારા પીવાના પાણી માટે નવી અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન નાખવાના કામ માટે જય બિલનાથ, નીલકંઠ અને કનુભાઈ જે. પટેલ ત્રણ એજન્સીને અંદાજે રૂા. ૧૩ કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો છે. કપડવંજમાં સૌથી વધુ વસ્તી ધરાવતા વિસ્તાર રત્નાગીરી રોડ પર પાઈપ લાઈન નાખવા દીવાળીના તહેવારો ટાણે જ ઠેર ઠેર ખાડાં ખોદી દેવાના કારણે રોડ ઉપર ધૂળ ઉડવાના કારણે સ્થાનિકોએ મુશ્કેલીઓ વેઠવી પડી હતી. ત્યારે હાલ રત્નાગીરી રોડ પર ભરશિયાળે પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. આ વિસ્તારમાં હજૂ પાઈપ પાઈનની કામગીરીનો ભલીવાર ના આવતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે. આ વિસ્તારના નાગરિકે તા. ૬-૧૧-૨૦૨૫ના રોજ મુખ્યમંત્રીને આક્ષેપ સાથે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ટેન્ડર મુજબ ઊંડાઈ નિયમ કરતા ઓછી અને 'ટી' લગાડવાની શરત ભંગ કરી પાઈપ લાઈનમાં પતરાનું શોકેટ લગાવવામાં આવતા પાણી લિકેજ કરી શકે છે. ઉચ્ચ કક્ષાએથી તપાસની માગણી પણ કરી છે.
એજન્સીઓ એક વર્ષથી નગરમાં આડેધડ ખોદકામ કરીને હલકી ગુણવત્તાનું કામ કરી ટેન્ડર મુજબની કામગીરી કરતી ન હોવાનો તેમજ પાલિકાની મીલિભગતના ભ્રષ્ટાચાર કરી આંખ આડા કાન કરાતા હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. આ મામલે ઉચ્ચકક્ષાએ તપાસ કરાય તેવી માંગણી કરાઈ છે.


