- માર્ગો પર પાણી ભરાતાં રોગચાળાની ભીતિ
- બજાર વિસ્તારમાં લીકેજ પાઈપલાઈનથી રાહદારીઓને અવરજવરમાં હાલાકી
લખતર : લખતર શહેરમાં પાણી વિતરણ દરમિયાન અનેક વિસ્તારોના રહીશો દ્વારા પાણીનો બેફામ વેડફાટ કરવામાં આવે છે. પાણી ખુલ્લામાં ઢોળવું અને કપડાં ધોયેલું પાણી જાહેર રોડ પર વહેવડાવવાના કારણે રસ્તાઓ અને માર્ગો પર સતત પાણી ભરાયેલું રહે છે.
રસ્તા પર ભરાયેલા પાણીના કારણે માખી-મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેને લીધે શહેરમાં રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઈ રહી છે. રહીશો દ્વારા પાણીના બગાડ ઉપરાંત, મુખ્ય બજારમાં વાસ્મોની લાઇન લીકેજ થવાથી પણ મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. રોડ પર પાણી ફરી વળવાથી રાહદારીઓ, વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝન સહિત તમામને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેનાથી તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે. તંત્ર દ્વારા પાણીનો ગેરકાયદેસર ઉપયોગ અને બગાડ રોકવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવા રહીશોમાં માંગ ઉઠી છે.


