Get The App

બે દિવસ પહેલાં નદીમાં પાણી છોડાયુ હતુ, આજે ભગવાન જગન્નાથની જળયાત્રા, નદીમાં જળકુંભીનું ગ્રહણ

વીસ દિવસ સાફ કરેલી સાબરમતી નદીનું પાણી લીલુછમ બન્યું, ૫૪ ટન જળકુંભી સાફ કરવાની મ્યુનિ. કોર્પોરેશનને ફરજ પડી

Updated: Jun 11th, 2025

GS TEAM


Google News
Google News
બે દિવસ પહેલાં નદીમાં પાણી છોડાયુ હતુ, આજે ભગવાન જગન્નાથની જળયાત્રા, નદીમાં જળકુંભીનું ગ્રહણ 1 - image


અમદાવાદ,મંગળવાર,10 જુન,2025

વીસ દિવસ સાબરમતી નદી સાફ કરાઈ હતી. બે દિવસ પહેલાં જ નદીમાં સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડાયુ હતુ. આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા છે. જળયાત્રા અગાઉ નદીમાં જળકુંભીનું ગ્રહણ લાગ્યુ છે. અટલબ્રિજથી લઈ  સરદારબ્રિજ સુધી નદીનુ પાણી જળકુંભી ફેલાતા લીલુછમ બન્યુ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને નદીમાં મશીનરી મુકી ૫૪ ટન જળકુંભી સાફ કરવાની ફરજ પડી છે. સાબરમતી નદીની સફાઈને લઈ કરવામાં આવેલા દાવા પોકળ પુરવાર થયા છે.

૧૫ મેથી ૫ જુન સુધી સાબરમતી નદીની તટ વિસ્તારમાં સફાઈ કરી આગળનુ અભિયાન કોર્પોરેશન દ્વારા સ્થગિત કરી દેવાયુ હતુ.સુભાષબ્રિજથી શરુ કરવામાં આવેલી નદીની સફાઈ એલિસબ્રિજ સુધી પહોંચી હતી.જે પછી એન.આઈ.ડી.પાસેના નદીના વિસ્તારમાં ૪ જુને સફાઈ કરાઈ હતી. ૧૧ કિલોમીટર વિસ્તારમાં નદીની સફાઈ કરવાની જાહેરાત સામે છ કિલોમીટરના તટ વિસ્તારમાં સફાઈ કરી કામગીરી આટોપી લેવાઈ હતી. ૯૪૫ ટન કચરો કઢાયાનો દાવો કરાયો હતો.ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી જે સ્થળેથી ૧૦૮ કળશમાં જળ ભરીને ભગવાનની પુજા કરાય છે. એ જ સ્થળે નદીમાં  પાણી સાથે જળકુંભી તણાઈ આવી હોવાની જાણ સત્તાધીશોને થતાં તાકીદના ધોરણે નદીમાં ફેલાયેલી જળકુંભી દુર કરવાની કામગીરી શરુ કરાઈ હતી. જળયાત્રા પહેલા નદીમાંથી જળકુંભી દુર કરી દેવાશે એમ કહેવાયુ છે.

Tags :