શહેરના તરસમીયા ફિલ્ટર હેઠળના વિસ્તારમાં ચારમાંથી 3 દિવસ પાણી કાપ રહેતા દેકારો

- શીયાળામાં છતે પાણીએ પાણીના ધાંધીયા, વોટર વર્કસ વિભાગની દોડધામ વધી
- ફિલ્ટર વિભાગ શટડાઉન લેતા અને મેઈન લાઈનમાં ભંગાણ થતા કાળિયાબીડ, ભરતનગર, ગાયત્રીનગર સહિતના વિસ્તારોમાં 20 થી વધુ વિસ્તારમાં પાણી ન આવ્યું
શહેરના તરસમીયા ફિલ્ટર હેઠળના વિસ્તારોમાં ચાર દિવસમાં ત્રણ દિવસ પાણી કાપ રહેતા પાણીનો કકળાટ જોવા મળી રહ્યા છે, જેમાં ગત શનિવારે મહાપાલિકાના ફિલ્ટર વિભાગે અચાનક શટડાઉન લીધુ હતુ તેથી તરસમીયા ફિલ્ટર હેઠળના વિસ્તારોમાં પાણી આવ્યુ ન હતુ, જયારે રવિવારે પાણી આવ્યુ હતુ, ત્યારબાદ બુધેલ પાસે પાણીની મેઈન લાઈનમાં ભંગાણ થતા ગઈકાલે સોમવાર તરસમીયા ફિલ્ટર હેઠળના તમામ વિસ્તારમાં પાણી આવ્યુ ન હતુ, જયારે આજે મંગળવારે પણ પાણીની લાઈનનું રીપેરીંગ કામગીરી શરૂ હોવાથી સાંજ સુધી પાણી આવ્યુ ન હતું. સાંજે રાબેતા મુજબ કેટલાક વિસ્તારમાં પાણી આપવામાં આવ્યુ હતુ તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના સુત્રોએ જણાવેલ છે.
શહેરમાં કાળિયાબીડ, ભરતનગર, ગાયત્રીનગર, તળાજા રોડ, દેવરાજનગર, ઘોઘા રોડ સહિતના ર૦ થી વધુ વિસ્તારમાં પાણીનો કકળાટ સાંભળવા મળ્યો હતો તેથી લોકો પરેશાન થઈ ગયા હતાં. પીવાનું પાણી પણ લોકોમાં ઘર ન હોવાથી લોકો રોષ ભભુકયો હતો તેથી લોકોએ દેકારો કર્યો હતો, જેના પગલે વોટર વર્કસ વિભાગની દોડધામ વધી હતી. પીવાનું પાણી નહીં આવતા લોકોએ ટેન્કર મંગાવવા પડયા હતાં.
લાઈનનું રીપેરીંગ થઈ જતા આજથી રાબેતા મુજબ પાણી અપાશે : અધિકારી
પાણીની મેઈન લાઈનમાં ભંગાણ થતા પાણી વિતરણ થઈ શકયુ ન હતુ પરંતુ પાણીની લાઈન રીપેરીંગ થઈ જતા આજે મંગળવારે સાંજે પાણી વિતરણ શરૂ કરાયુ છે અને આવતીકાલ બુધવારથી રાબેતા મુજબ પાણી વિતરણ કરાશે તેમ માહિતી આપતા મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે જણાવેલ છે.








