મહીસાગર નદીના રાયકા, ફાજલપુર ફ્રેન્ચ વેલમાં ડિસિલ્ટિંગની કામગીરીથી પાણીનો કકળાટ : 11 લાખ લોકોને અસર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આગામી 15 થી 20 દિવસ સુધી પાણી ઓછા પ્રેશરથી અને ઓછા સમય સુધી મળશે પરિણામે વિવિધ વિસ્તારના 11 લાખ લોકોમાં પાણીનો કકળાટ સર્જાશે. આ પરિસ્થિતિ આગામી 15 થી 20 દિવસ સર્જાશે. જોકે આ અંગે પાલિકા તંત્ર દ્વારા કોઈ ચોક્કસ તારીખો જણાવાઈ નથી.
ઉલ્લેખનીય છે કે મહીસાગર નદીમાં ગત ચોમાસાની ઋતુ દરમિયાન ઉપરવાસમાંથી ખૂબ જ પ્રમાણમાં પાણીની આવક થઈ છે પરંતુ મહીસાગર ખાતેના રાયકા ફ્રેન્ચવેલની આસપાસ નદીમાં વધુ પ્રમાણમાં સિલ્ટીગ થયું છે પરિણામે આ ફ્રેંચ કુવા ખાતેથી પાણીનો સપ્લાય ઓછો થયો છે. જેના નિવારણ માટે આ ફ્રેન્ચવેલની પાસેથી ડીસિલ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીમાં ફ્રેન્ચવેલ પરથી પાણીનો સપ્લાય ઓછો થવાની શક્યતા છે જેથી ફ્રેન્ચવેલ ખાતેથી પાણી મેળવતી ટાંકીઓ જેવી કે, એરપોર્ટ બુસ્ટર, આજવા ટાંકી, ખોડીયાર નગર બુસ્ટર, વારસિયા બુસ્ટર, ગાજરાવાડી ટાંકી, નાલંદા ટાંકી, દરજીપુરા બુસ્ટર, સમા ટાંકી, પૂનમ નગર ટાંકી, નોર તો હરણી ટાંકી, કારેલીબાગ ટાંકી, વિહિકલ પુલ બુસ્ટર, સયાજી બાગ ટાંકી, જેલ ટાંકી, પાણીગેટ ટાંકી, તથા લાલવા ટાંકીના કમાંડ વિસ્તારમાં આગામી 15 થી 20 દિવસ માટે સ્થાનિક રહીશોને પાણી ઓછા પ્રેશર અને ઓછા સમય માટે આપવામાં આવશે. આ ઉપરાંત ફાજલપુર ફ્રેન્ચવેલ ખાતેથી પાણી મેળવતી ટાંકી જેવી કે, પરશુરામ બુસ્ટર, જુનીગઢી બુસ્ટર, વિહીકલપુલ બૂસ્ટર, વારસિયા બુસ્ટર, છાણી ગામ ટાંકી, છાણી જકાતનાકા ટાંકી, સમા જૂની ટાંકી, સમા પુનમ નગર, ટીપી 13 ટાંકી, જેલ ટાંકી, લાલબાગ ટાંકી, સયાજી બાગ ટાંકી, નવી ધરતી બુસ્ટર, ફતેપુરા બુસ્ટર, સાધના નગર બુસ્ટર, તથા બકરાવાડી બુસ્ટરના કમાન્ડો વિસ્તારમાં આગામી સમય દરમિયાન પાણી વિતરણ વ્યવસ્થામાં અસર થવાની શક્યતા છે. આમ શહેરના જુદા જુદા વિસ્તારના કુલ 11 લાખ જેટલા લોકોમાં ફરી એકવાર પાણીનો કકળાટ સર્જાવાની શક્યતા નકારી શકાતી નથી. જેથી આ ટાંકીઓના કમાંડ વિસ્તારમાં સ્થાનિક રહીશોને પણ પાણી ઓછા પ્રેશર અને ઓછા સમય માટે આપવામાં આવશે. તેની નોંધ લેવા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.
પાણીની 13 ટાંકી અને અને 13 બુસ્ટરનો સમાવેશ
શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ ગેજવાળા મોટા પાઇપ નાખવાની કાર્યવાહી અંગે શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં તાજેતરમાં સળંગ ચાર ટાઈમ પાણીથી વંચિત રહ્યા હતા. જેની અસર શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના પાંચ લાખ સ્થાનિક રહીશોને અસર થઈ હતી.
જ્યારે મહીસાગર સ્થિત રાયકા ફ્રેન્ચવેલ આસપાસ અને ફાજલપુર ફ્રેન્ચવેલ ખાતે પણ થયેલા સિલ્ટિંગના કારણે ડીસીલ્ટીંગની કામગીરીના કારણે રાયકા ફ્રેન્ચવેલથી પાણી મેળવતા પાંચ બુસ્ટર અને પાંચ ટાંકી એવી જ રીતે ફાજલપુર ફ્રેન્ચવેલથી પાણી મેળવતા આઠ બુસ્ટર અને આઠ ટાંકી વિસ્તારના રહીશોને અસર થશે.








