અમદાવાદમાં પૂર્વ-દક્ષિણના 10 લાખ લોકોએ બે દિવસ ઓછા પાણીથી ચલાવવું પડશે, જાણો કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Water News : અમદાવાદના રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને પાણી પુરુ પાડતી શેઢી કેનાલમાં રીપેરીંગની કામગીરી કરવાની છે. રીપેરીંગની કામગીરીના કારણે શેઢી કેનાલમાંથી પાણી છોડવાનુ બંધ કરાશે.આ કારણથી આગામી બે દિવસ સુધી પૂર્વ અને દક્ષિણઝોનના અંદાજે 10 લાખ લોકોને ઓછા પાણીથી ચલાવવુ પડશે. વટવા,રામોલ-હાથીજણ ઉપરાંત વસ્ત્રાલ, મણીનગરની સાથે ઈસનપુર તેમજ લાંભા વિસ્તારમાં પાણીની ઘટ પડશે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, શેઢી કેનાલમાં સિંચાઈ વિભાગ દ્વારા રીપેરીંગની કામગીરી કરાવવામા આવશે. આ કારણથી 22 જાન્યુઆરીની રાતથી 12થી 15 કલાક માટે કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યુ છે.જેની અસર રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુક્રવાર સાંજથી જોવા મળી હતી.
વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવતા રો વોટરના જથ્થામા ઘટાડો થવા પામ્યો હતો. રો-વોટરના જથ્થામા ઘટાડો થતા રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરવો પડયો છે.આ કારણથી શહેરના પૂર્વ ઝોનમા આવેલા રામોલ-હાથીજણ, વસ્ત્રાલ વોર્ડના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનો તેમજ સમગ્ર દક્ષિણ ઝોનમા આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમા પાણીની ઘટ પડશે.સિંચાઈ વિભાગ દ્વારા 12થી 15 કલાકમાં કામગીરી પુરી કરીને કેનાલમાં પાણી છોડવામા આવશે.જો કે તેને રાસ્કા સુધી પહોંચતા સમય લાગશે. આ કારણથી બે દિવસ પાણીની ઘટની અસર વર્તાશે.









