સુરેન્દ્રનગરના રતનપરના પાંચથી વધુ વિસ્તારમાં ઉનાળાના પ્રારંભે પાણીની સમસ્યા
- મનપા બન્યા બાદ પણ પ્રાથમિક સુવિધાઓ ઠેરની ઠેર રહી
- દેવનંદન રેસીડેન્સી, વ્રજધામ અને આસપાસના વિસ્તારોમાં પીવાના પાણી માટે પોકાર, લોકો ટેન્કર મંગાવવા મજબૂર
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મનપા બન્યા બાદ શહેરીજનોની સમસ્યા ઠેરની ઠેર રહી છે. કેટલાક વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું સામે આવ્યુ છે. રતનપર વિસ્તારમાં આવેલા દેવનંદન રેસીડેન્સી અને વ્રજધામ સહિતના પાંચ વિસ્તારોમાં પીવાની પાણી ન આવતા મુશ્કેલી સર્જાઇ છે. ઉનાળાના પ્રારંભ સાથે પાણીની વિકટ સ્થિતિ ઉભી થતાં મહિલાઓએ મનપા કચેરીમાં લેખિત રજૂઆતો કરી છે. લોકો પાણીના ટેન્કર મંગવવા મજબૂર બન્યા છે.
રજુઆતમાં જણાવ્યા મુજબ, રતનપર વિસ્તારમાં આવેલા દેવનંદન રેસીડેન્સી શેરી નં.૨ તેમજ વ્રજધામ અને આસપાસના રહેણાંક વિસ્તારોમાં રહેતા અંદાજે ૧૫૦થી વધુ પરિવારોને તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં ન આવતા હાલાકી પડી રહી છે. જેમાં ખાસ કરીને છેલ્લા ૬-૮ મહિનાથી આ વિસ્તારમાં તંત્ર દ્વારા પાણીની સુવીધા પુરી પાડવામાં ન આવતા હાલ ઉનાળાના પ્રારંભે જ મહિલાઓને પાણી માટે મુશ્કેલી પડી રહી છે.
તેમજ ધર્મદર્શન, નિલકંઠ, સહજાનંદ, ધર્મનગર સહિતની રેસીડેન્સી વિસ્તારમાં રપાણી પુરૂ પાડવામાં આવતું નથી જ્યારે ધર્મનગરમાં નવા બનેલા ૧૭ મકાનો માટે પાણીના કનેકશન પણ આપવામાં આવ્યા નથી. હાલ એક બાજુ તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે ત્યારે તંત્ર દ્વારા પુરતું પાણી પુરૂ પાડવામાં ન આવતાં રહિશોને એક ટેન્કર દીઠ પીવાના પાણી માટે રૂા.૪૦૦ ખર્ચ કરવાનો વારો આવી રહ્યો છે. જે મોંધવારીમાં પોસાય તેમ નથી આથી તંત્ર દ્વારા તાત્કાલીક ૫ાણીની સમસ્યા દુર કરવામાં આવે અને નવા બનેલા મકાનોના પાણીના કનેકશનો આપવામાં આવે તેવી માંગ કરી હતી તેમજ જ્યાં સુધી પાણીના કનેકશન આપવામાં ન આવે ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે દરરોજ ટેન્કર દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે તેવી પણ માંગ કરી હતી. જ્યારે લોકોની રજુઆતને પગલે મનપા તંત્ર દ્વારા પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. આ તકે મોટીસંખ્યામાં સ્થાનિક રહિશો સહિત મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.