વડોદરાના આજવામાં 24 કલાકમાં બે ઇંચ વરસાદ પડતા સપાટી વધીને 211.26 ફૂટ થઈ
Vadodara Ajwa Lake : વડોદરા શહેરના દક્ષિણ અને પૂર્વ વિભાગને પીવાનું પાણી પૂરું પાડતા ઐતિહાસિક આજવા સરોવરમાં છેલ્લા 24 કલાકમાં આશરે બે ઇંચ વરસાદ પડતા સરોવરની સપાટીમાં આશરે અડધો ફૂટનો ઝડપથી વધારો થઈ જતા બપોરે સપાટી 211.26 ફૂટ પહોંચી ગઈ હતી.
હાલ આજવા સરોવરમાંથી પંપીંગ કરીને વિશ્વામિત્રીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પંપીંગ સિસ્ટમ હજી તાજેતરમાં જ ચાલુ કરી છે. હાલ છ પંપ ચાલુ છે જેના દ્વારા 24 કલાકમાં આઠ દોરા પાણી નીચે ઉતરે છે. દરમિયાન રોજનું વપરાશનું પણ 145 એમએલડી પાણી લેવામાં આવે છે. પંપીંગ સિસ્ટમ દ્વારા 14 પંપ ચાલુ કરવાના હતા, જે આઠ પંપ બાકી છે તે આજ રાત સુધીમાં શરૂ થઈ જાય તેવી સંભાવના છે. આજવાના 62 દરવાજા હાલ 214 ફૂટ ઉપર સેટ કરવામાં આવેલા છે. આજવામાં મોસમનો કુલ વરસાદ 567 મીમી થયો છે. તેના ઉપર વાસ હાલોલમાં 731, પ્રતાપપુરા સરોવરમાં 674 મીમી અને ધન્સર વાવમાં 663 મીમી વરસાદ થઈ ચૂક્યો છે. વિશ્વામિત્રી ની સપાટી 8.36 ફૂટે છે.