સુરતમાં વરસાદી પાણીના ભરાવા માટે પાલિકા સાથે લોકો પણ જવાબદાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં સોમવારે પડેલા વરસાદી પાણી અનેક જગ્યાએ 40 કલાક બાદ માંડ ઉતર્યા હતા. સુરતમાં સૌથી સફળ વરસાદી ગટરની સુવિધા છે તેમ છતાં આ પાણી ભરાવાના કારણ પાછળ પાલિકા તંત્ર સાથે સાથે સુરતીઓ પણ જવાબદાર છે. સુરતમાં પ્લાસ્ટિક નો ઉપયોગ બેફામ થઈ રહ્યો છે અને તેનો યોગ્ય નિકાલ પણ થતો ન હોવાથી સુરતમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. વરસાદી પાણી ભરાયા બાદ પાલિકા સ્ટ્રોમ ડ્રેનેજના ઢાંકણા આસપાસ સફાઈ કરે છે પરંતુ કચરાનો ઢગલો તરત ઉપાડી નથી લેવાતો હોવાથી ફરી ઢાંકણા પર આવી જતા સમસ્યા યથાવત જોવા મળી રહી છે. આ ઉપરાંત સુરતીઓ પણ આડેધડ જાહેરમા પ્લાસ્ટિક નો નિકાલ કરે છે તે પણ સ્ટ્રોમ ડ્રેઈનના ઢાંકણા પર જમા થઈ રહ્યો છે.
સુરતમાં સોમવારથી શરૂ થયેલો વરસાદ હજી બંધ થયો નથી સમયાંતરે વરસાદ વરસી રહ્યો છે સોમવારે સુરતના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. શાસકો અને નેતાએ તો આ પાણી ગણતરીના કલાકોમાં ઉતરી ગયાં હતા તેવી જાહેરાત કરી હતી પરંતુ હકીકતમાં શહેરના અનેક વિસ્તારોમાં 40 કલાક બાદ પાણીનો નિકાલ થયો હતો. વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રુપિયાના ખર્ચા પાલિકા સ્ટ્રોમ ડ્રેનેજ સિસ્ટમ બનાવી છે પરંતુ પ્રિમોન્સુન કામગીરી માં આ વરસાદી ગટર સફાઈમાં વેઠ ઉતારવામાં આવે છે. અનેક જગ્યાએ સ્ટ્રોમ ડ્રેઈનના ઢાકણ યોગ્ય રીતે સફાઈ થતી નથી. જેના કારણે એક ઈંચ કરતાં વધુ વરસાદ વરસે છે ત્યારે પાણીનો નિકાલ થતો નથી જેના કારણે લાંબો સમય પાણીનો ભરાવો થઈ રહ્યો છે.

સોમવારે પડેલા વરસાદ બાદ તમામ વિસ્તારોમાં લાંબો સમય પાણીનો ભરાવો થયો હતો.ત્યાર બાદ પાલિકાએ યુધ્ધના ધોરણે સફાઈની કામગીરી કરી હતી જેના કારણે પાણી ઓસરી ગયા હતા છતાં હજી સુધી અનેક સોસાયટીઓમાંથી સફાઈ થઈ ન હોવાની ફરિયાદ થઈ રહી છે. તો બીજી તરફ પાલિકા તંત્ર સફાઈની કામગીરી તો કરી રહી છે પરંતુ સ્ટ્રોમ ડ્રેઈનના ઢાંકણા ની આસપાસ પુષ્કળ પ્રમાણમાં પ્લાસ્ટિક કાઢી રહી છે પરંતુ તેનો સ્થળ પરથી તરત નિકાલ કરતી નથી અને ઢાંકણા ની બાજુમા જ ઢગલા કરી દે છે. જેના કારણે થોડો પણ વરસાદ આવે તો ફરીથી આ પ્લાસ્ટીક ડ્રેનેજના ઢાંકણા પર જતું રહે છે અને ફરીથી પાણીનો ભરાવો થાય છે.
પાણીના ભરાવાના કારણે સુરતીઓને ભારે નુકસાન સહન કરવાનો વારો આવે છે તેમ છતાં સુરતીઓ વ્યાપક પ્રમાણમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે અને પ્લાસ્ટિક નો નિકાલ યોગ્ય રીતે કરવાના બદલે જાહેરમાં નિકાલ કરે છે અને તે પાણીના ભરાવા માટે નિમિત બને છે આમ વરસાદી પાણીના ભરાવા માટે પાલિકા અને સુરતીઓ બંને જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.








